Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સંસ્કૃતિ અને વારસો > આર્ટિકલ્સ > સંબંધ તથા કર્મ જીવન સાથે જોડાયેલાં છે એને શ્રેષ્ઠ બનાવવાં એ જ નિજ જ્ઞાન છે

સંબંધ તથા કર્મ જીવન સાથે જોડાયેલાં છે એને શ્રેષ્ઠ બનાવવાં એ જ નિજ જ્ઞાન છે

Published : 07 February, 2025 01:49 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જન્મ, જીવન ને મૃત્યુ તમામ જીવોના જીવનની સામાન્ય ઘટનાઓ છે અને એટલે જ માણસ જે ક્ષણે બાળકના રૂપમાં આ સૃષ્ટિ ઉપર જન્મે છે એ જ ક્ષણથી તેના સંબંધો બનવાનું શરૂ થાય છે.

પ્રતીકાત્મક તસવીર

સત્સંગ

પ્રતીકાત્મક તસવીર


જન્મ, જીવન ને મૃત્યુ તમામ જીવોના જીવનની સામાન્ય ઘટનાઓ છે અને એટલે જ માણસ જે ક્ષણે બાળકના રૂપમાં આ સૃષ્ટિ ઉપર જન્મે છે એ જ ક્ષણથી તેના સંબંધો બનવાનું શરૂ થાય છે. સર્વપ્રથમ તો જેની કૂખે તે જન્મે છે તે સ્ત્રી તેની ‘મા’ કહેવાય છે અને તેનો પતિ ‘પિતા’ કહેવાય છે. ત્યાર બાદ તો જેમ-જેમ બાળક મોટો થાય છે તેમ-તેમ સંબંધોની જાણે શૃંખલા બનતી જાય છે. આ બધા જ સંબંધો આમ તો દૈહિક સંબંધ હોય છે અને એમનું પોતાનું આગવું મહત્ત્વ પણ હોય છે અને જવાબદારી તેમ જ અધિકાર પણ હોય છે પરંતુ આ ઉપરાંત પણ ઘણા અન્ય પ્રકારના સંબંધો હોય છે જેને સમજવા જરૂરી છે. દાખલા તરીકે જેમની સાથે વ્યક્તિ રમે છે, મિત્રભાવે હળે-મળે છે એને મૈત્રીપૂર્ણ સંબંધો; એવી જ રીતે જેઓ એકસાથે ભણે છે અથવા એક ગુરુના શિષ્ય હોય છે, તેમને સહાધ્યાયી અથવા ગુરુભાઈ કહેવામાં આવે છે. આ બધા સંબંધો વિશે વાત કરવા પાછળનો મૂળ ભાવ એ સિદ્ધ કરવાનો છે કે કોઈ પણ વ્યક્તિ સંસારમાં એકલી કે સદાને માટે અકર્મણ્ય રહી નથી શકતી, અતઃ અન્યો સાથે તેના કોઈક ને કોઈક રીતે સંબંધ તો બને જ છે કારણ કે સંસારમાં રહીને સંબંધો વિના કર્મ કે જીવન જાણે અસંભવ બની જાય છે અને માણસની ફરજ, જવાબદારી તેમ જ અધિકાર વગેરે પણ આ સંબંધો પર જ આધારિત હોય છે. દાખલા તરીકે પુત્રને પિતા દ્વારા પૈતૃક સંપત્તિ પ્રાપ્ત થવી, પત્નીને પતિ દ્વારા રક્ષણ તેમ જ અન્ય સુખ-સુવિધા પ્રાપ્ત થવી વગેરે આ સંબંધો પર જ આધારિત છે. અને એટલે જ એવું જોવામાં આવે છે કે આપણે સહુ સંબંધોને અનુરૂપ જ કર્મ કરીએ છીએ અને કર્મો પર આશ્રિત જ આપણા સંબંધ હોય છે. અર્થાત્ આપણા વર્તમાન કર્મ આપણા ભવિષ્યના સંબંધોના નિર્માતા હોય છે. યાદ રહે! કર્મ અને સંબંધ આપણા જીવનનાં મૂળભૂત સત્ય છે અને આપણાં સુખ-દુઃખ પણ એમની સાથે જોડાયેલાં હોય છે. અતઃ એમના અસ્તિત્વને ન માનવું અથવા તો એમને મિથ્યા માનવું વાસ્તવમાં મિથ્યા દર્શન છે. જે રીતે આ જગત સત્ય છે એમ આત્મા પણ સત્ય છે અને સંબંધ તથા કર્મ પણ આપણા જીવન સાથે જોડાયેલાં છે અને એમને શ્રેષ્ઠ બનાવવાં એ જ નિજ જ્ઞાન છે. નૈતિક, સામાજિક કે આધ્યાત્મિક મૂલ્યો એને માટે જ છે. દૈવી ગુણોની ધારણાની આવશ્યકતા પણ સંબંધો અને કર્મમાં દિવ્યતા લાવવાને માટે જ છે. યોગાભ્યાસની આવશ્યકતા પણ એમને સાત્ત્વિક, સ્નેહયુક્ત અને શક્તિશાળી બનાવવાને માટે તેમ જ કર્મબંધનથી મુક્ત થવાને માટે જ છે. અતઃ આપણે આ વિધિને શીખીને તેમ જ એમનો અભ્યાસ કરતા સમયે એ ધ્યાન રાખીએ કે આપણા સંબંધ ‘બંધન’ ન બને અને આપણાં કર્મ ‘વિકર્મ’ની શ્રેણીનાં ન હોય.


Whatsapp-channel Whatsapp-channel

07 February, 2025 01:49 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK