મૈં હૂં દબંગ
કિડની-ટ્રાન્સપ્લાન્ટ પછી કોવિડ-19ના સંક્રમણમાં આવી ગયેલા મ્યુઝિક-ડિરેક્ટર સાજિદ-વાજિદ પૈકીના વાજિદ ખાનનું નિધન થતાં ઝીટીવીએ પોતાના આ સેલિબ્રિટી જજ માટે ખાસ પ્રોગ્રામ ડિઝાઇન કર્યો છે. ‘મૈં હૂં દબંગ’ નામના આ પ્રોગ્રામમાં વાજિદ ખાન સાથે કામ કરી ચૂકેલા અનેક સિંગર્સ પણ જોડાશે અને વાજિદને શ્રદ્ધાંજલિ આપશે. સાજિદ-વાજિદ ઝીટીવીના ‘સારેગામાપા’ શોના જજ રહી ચૂક્યા છે અને ૨૦૧૦, ૨૦૧૨, ૨૦૧૬ અને ૨૦૧૮ની સીઝનમાં તેમણે આ પદની શોભા વધારી હતી. આ વર્ષે પણ બન્ને ભાઈઓ શો સાથે જોડાવાની ચર્ચામાં હતા અને ત્યાં જ લૉકડાઉન આવતાં આખી વાત અટકી ગઈ અને લૉકડાઉન વચ્ચે જ વાજિદ ખાનનું નિધન થયું.
ચૅનલ વાજિદ ખાન સ્પેશ્યલ પ્રોગ્રામની સાથોસાથ ‘સારેગામાપા’ના ખાસ એપિસોડનું રીટેલિકાસ્ટ પણ શરૂ કરી ચૂકી છે જેમાં વાજિદ ખાનની એક્સપર્ટ કમેન્ટની સાથોસાથ વાજિદના જીવનની કેટલીક હળવી પળો પણ સામેલ છે.