માયથોલૉજિકલ કૅરૅક્ટર જરા પણ આસાન નથી
રાહુલ શર્મા
ટીવીસ્ટાર રાહુલ શર્માએ અત્યાર સુધીમાં લગભગ વીસેક જેટલી ટીવી-સિરિયલ કરી છે, જેમાં આજના સમયનાં પાત્રો પણ આવી ગયાં અને માઇથોલૉજિકલ કૅરૅક્ટર એટલે કે ઐતિહાસિક પાત્રોનો પણ સમાવેશ થઈ ગયો છે. રાહુલ શર્મા અત્યારે દંગલ ચૅનલની ‘પ્યાર કી લુકાછુપી’માં પણ લીડ ઍક્ટર છે. જોકે રાહુલનું માનવું છે કે આજનાં પાત્રો કરતાં અનેકગણું અઘરું કામ જો કોઈ હોય તો એ ઐતિહાસિક પાત્ર નિભાવવાનું છે. યોદ્ધાના કૅરૅક્ટરથી લઈને ભગવાન વિષ્ણુ અને નાગાર્જુન રાજકુમાર જેવાં અનેક મહાન પાત્રો ભજવનારો રાહુલ કહે છે, ‘તમે જ્યારે વૉરિયરનું કૅરૅક્ટર કરતા હો એવા સમયે માત્ર તમારું બૉડી જ નહીં, તમારી બોલવા-ચાલવાથી લઈને ચાલવા-બેસવાની રીતભાતમાં પણ ફરક આવી જાય છે, તમારા એક્સપ્રેશન પણ જુદાં જ હોય. ભગવાન વિષ્ણુ બનો એવા સમયે તમે કેમ ઊભા છો એ પણ મહત્ત્વનું બની જાય અને એક્સપ્રેશન પણ મહત્ત્વનાં બની જાય. માયથોલૉજીમાં તમારે એ યુગમાં એન્ટર થવું પડે. તમારી આંખોના હાવભાવ પણ અતિશય મહત્ત્વના હોય, જ્યારે આજના કૅરૅક્ટરમાં તમે જેવા છો એમાં જ ફેરફાર આવતા હોય છે.’
રાહુલ માને છે કે બન્ને કૅરૅક્ટર એકસાથે કરવાનું કામ સૌથી અઘરું હોય છે. રાહુલ કહે છે, ‘જો તમે સવારે આજના સમયના યંગસ્ટર્સ બનો અને સાંજે તમે ઐતિહાસિક પાત્ર ભજવો તો એ બહુ ડિફિકલ્ટ બની જાય.’