સુપરસ્ટાર રાજેશ ખન્ના પ્રોડ્યુસર તરીકે સુપરફ્લૉપ રહ્યા હતા!
રાજેશ ખન્ના
રાજેશ ખન્નાને હિન્દી ફિલ્મોમાં અભિનયની તક મળી એ પછી ‘આખરી ખત’ અને ‘રાઝ’ ફિલ્મથી રાજેશ ખન્નાને હિન્દી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં બધા ઓળખતા થઈ ગયા હતા અને ‘દો રાસ્તે’ તથા ‘આરાધના’એ ગોલ્ડન જ્યુબિલી ઊજવી એ પછી તો તેમના ભાવ ઊંચકાઈ ગયા હતા. ૧૯૬૯થી ૧૯૭૩ વચ્ચે તેમણે ધડાધડ સળંગ ૧૫ સુપરહિટ ફિલ્મો આપી હતી (એ રેકૉર્ડ આજ સુધી હિન્દી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીનો કોઈ હીરો બ્રેક નથી કરી શક્યો) એને કારણે રાજેશ ખન્નાને ભારતના પ્રથમ સુપરસ્ટાર તરીકે ઓળખ મળી હતી. રાજેશ ખન્ના ઍક્ટર તરીકે અકલ્પ્ય સફળતા મેળવી ચૂક્યા હતા, પરંતુ પ્રોડ્યુસર તરીકે તેઓ સુપરફ્લૉપ રહ્યા હતા.
રાજેશ ખન્નાએ પ્રોડ્યુસર તરીકે ૧૦ ફિલ્મો અને ટીવી-સિરિયલ કરી હતી.
ADVERTISEMENT
જોકે એમાં શરૂઆતની ત્રણ ફિલ્મોને બાદ કરતાં તેમના બાકી બધા પ્રોજેક્ટ્સનો ધબડકો થયો હતો. એ ત્રણ ફિલ્મોમાં પણ તેઓ એક હીરો તરીકે, એક સુપરસ્ટાર તરીકે એક હાઇટ પર પહોંચ્યા હતા એટલે તેમને કો-પ્રોડ્યુસર તરીકે ક્રેડિટ મળી હતી. એ ફિલ્મો હતી: ૧૯૭૧માં રિલીઝ થયેલી મેહબૂબ કી મહેંદી.’ એ જ વર્ષે રિલીઝ થયેલી ‘હાથી મેરે સાથી’ અને ૧૯૭૪માં રિલીઝ થયેલી ‘રોટી’. એ ત્રણેય ફિલ્મોમાં તેઓ કો-પ્રોડ્યુસર હતા. ૧૯૭૮માં આવેલી ‘ચક્રવ્યૂહ’માં અને ૧૯૮૫માં રિલીઝ થયેલી ‘અલગ-અલગ’માં પણ તેઓ કો-પ્રોડ્યુસર હતા. એ પછી તેમણે ૧૯૮૯માં ‘પોલીસ કે પીછે પોલીસ’ ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું હતું. તેમણે ૧૯૯૦માં ‘જય શિવ શંકર’ ફિલ્મ બનાવી હતી. એ ફિલ્મ તો રિલીઝ જ ન થઈ! ૧૯૯૫માં આવેલી ફિલ્મ ‘બરસાત’માં તેઓ કો-પ્રોડ્યુસર હતા અને ૧૯૯૯માં પ્રસારિત થયેલી ‘પરખ’ ટીવી-સિરીઝના તેઓ પ્રોડ્યુસર હતા. ૧૯૮૭માં ‘આધા સચ આધા જૂઠ’ સિરિયલ પણ તેમણે પ્રોડ્યુસ કરી હતી.
ઍક્ટર તરીકે રાજેશ ખન્નાએ ખૂબ સફળતા જોઈ હતી, પરંતુ પ્રોડ્યુસર તરીકે તેમણે કારમી નિષ્ફળતાનો સામનો કરવો પડ્યો હતો. ૧૯૮૯માં તેમણે ‘પોલીસ કે પીછે પોલીસ’ ફિલ્મનું નિર્માણ હાથ ધર્યું હતું. એ ફિલ્મના ડિરેક્ટર બી. આર. ઇશારા હતા. રાજેશ ખન્ના, ફારાહ, અર્ચના પૂરણ સિંઘ લીડ કૅરૅક્ટર્સ હતાં. એ ફિલ્મમાં સંગીત આર. ડી. બર્મનનું હતું.
એ ફિલ્મ માટે રાજેશ ખન્નાએ સોનમને સાઇન કરી હતી. રાજેશ ખન્ના તેને લૉન્ચ કરવાના હતા, પરંતુ તેમણે ગોવિંદાની ‘હત્યા’ ફિલ્મને કારણે એ ફિલ્મ પાછી ઠેલી દીધી હતી. રાજેશ ખન્ના ‘પોલીસ કે પીછે પોલીસ’ ફિલ્મ હૉલીવુડની ફિલ્મ ‘વિટનેસ’ પરથી બનાવી રહ્યા હતા, પણ તેમને ખબર પડી કે ગોવિંદા ઑલરેડી એ ફિલ્મ પરથી ‘હત્યા’ ફિલ્મ બનાવી રહ્યો છે એટલે તેમણે એ ફિલ્મનો પ્રોજેક્ટ અભરાઈએ ચડાવી દીધો હતો. સોનમે એ વખતે રાજેશ ખન્નાની એ ફિલ્મ છોડીને યશ ચોપડાની ‘વિજય’ ફિલ્મ સાઇન કરી લીધી હતી અને એ ફિલ્મથી પોતાની કરીઅરની શરૂઆત કરી હતી.