બે વિચારધારાનું યુદ્ધ એટલે શૌર્ય ઔર અનોખી કી કહાની
કરણવીર શર્મા
સોમવારથી સ્ટાર પ્લસ પર શરૂ થતા નવા શો ‘શૌર્ય ઔર અનોખી કી કહાની’ના લીડ સ્ટાર કરણવીર શર્મા લગભગ પાંચેક વર્ષ પછી ફરીથી ટીવી પર જોવા મળશે. કરણવીરે કહ્યું હતું, ‘આ શોની સૌથી મોટી બ્યુટી જો કોઈ હોય તો એ કે એમાં બે વિચારધારાનું યુદ્ધ દેખાય છે. નવી પેઢી અને જૂની પેઢી એક જ વાતને કેવી અલગ-અલગ રીતે જુએ છે એ એમાં દેખાડવામાં આવ્યું છે. શૌર્ય અને અનોખી આ બન્ને પેઢી વચ્ચેની વિચારધારામાં અટવાયેલી રહે છે પણ ખાસ તો અનોખી, બે જનરેશન વચ્ચે તેની કેવી હાલત થાય છે એ આ શોમાંથી ખબર પડે છે.’
‘શૌર્ય ઔર અનોખી કી કહાની’નું હમણાં જ શૂટ પટિયાલામાં પૂરું થયું. લૉકડાઉન પછી સ્ટાર પ્લસ આ શો માટે ખાસ પટિયાલા ગયું અને લોકલ લોકેશન પર શૂટિંગ કરવામાં આવ્યું. કરણવીરે કહ્યું હતું, ‘પટિયાલા જવાની વાતથી જ હું ખુશ હતો, કારણ કે આ મારા મામાનું શહેર છે. હવે કોઈ ત્યાં રહેતું નથી પણ મેં એ બધી જૂની યાદોને ફરી તાજી કરી અને નાનો હતો ત્યારે જ્યાં-જ્યાં ફરવા જતાં ત્યાં-ત્યાં હું ફરવા પણ ગયો.’