પૉલિટિક્સમાં એન્ટ્રી નહીં કરે રજનીકાન્ત
રજનીકાન્ત હવે પૉલિટિક્સમાં એન્ટ્રી નહીં કરે. તેઓ હવે ફક્ત ફિલ્મો પર ધ્યાન આપશે. તેમણે પૉલિટિકલ પાર્ટીની જાહેરાત કરી હતી અને તેઓ ૨૦૨૧નું ઇલેક્શન લડવાના હતા. જોકે તેઓ હાલમાં બીમાર પડતાં તેમણે હેલ્થને કારણે પાર્ટી શરૂ ન કરવાનો નિર્ણય લીધો છે. રજનીકાન્ત હાલમાં હૈદરાબાદમાં ‘એન્નાત્તે’નું શૂટિંગ કરી રહ્યા હતા. સેટ પર ચાર જણ કોરોના પૉઝિટિવ આવતાં શૂટિંગ બંધ કરવામાં આવ્યું હતું. રજનીકાન્તને બ્લડ-પ્રેશરમાં ખૂબ જ બદલાવ આવતાં તેમને પણ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. ડૉક્ટર દ્વારા તેમને સલાહ આપવામાં આવી હતી કે જો આ જ રીતે બ્લડ-પ્રેશરમાં અચાનક બદલાવ આવતો રહ્યો તો એની અસર તેમની ટ્રાન્સપ્લાન્ટ કરેલી કિડની પર પડશે. આ વિશે રજનીકાન્તે કહ્યું હતું કે ‘આ બધું મારી હેલ્થ કન્ડિશનને લીધે થયું છે. ભગવાન દ્વારા મને વૉર્નિંગ આપવામાં આવી છે એવું હું માની રહ્યો છું. મારે પબ્લિક મીટિંગ કરવી પડશે અને લાખો લોકોને મળવું પડશે. આથી હું ખૂબ જ દુઃખ સાથે કહી રહ્યો છું કે હું પૉલિટિકલ પાર્ટી શરૂ નહીં કરું અને પૉલિટિક્સમાં પણ દાખલ નહીં થાઉં. હું જ્યારે આની જાહેરાત કરું છું ત્યારે હું જ એનું દુઃખ સમજી શકું છું.’