સંજય દત્તને ફાઇટર જણાવ્યો છે ડિરેક્ટર ચન્દ્રપ્રકાશ દ્વિવેદીએ
ચન્દ્રપ્રકાશ દ્વિવેદી
‘પૃથ્વીરાજ’ના ડિરેક્ટર ડૉક્ટર ચન્દ્રપ્રકાશ દ્વિવેદીએ સંજય દત્તને ફાઇટર જણાવ્યો છે. સાથે જ કહ્યું છે કે સંજય દત્તને કોઈ પછાડી નહીં શકે. સંજય દત્તને કૅન્સર થયું હોવાનું નિદાન થતાં ‘પૃથ્વીરાજ’માં તેના ભાગનું શૂટિંગ બાકી હતું. એ વિશે ડિરેક્ટર ચન્દ્રપ્રકાશ દ્વિવેદીએ કહ્યું હતું કે ‘સંજય દત્તજી સાથેનું જે થોડું શૂટિંગ બાકી હતું એને 5 દિવસના શેડ્યુલ સાથે પૂરું કરવામાં આવ્યું છે. કોરોના વાઇરસ અને તેમની હેલ્થને જોતાં જ સેટ પર પણ તમામ પ્રકારની સાવચેતી રાખવામાં આવી હતી. યશરાજ ફિલ્મ્સે કોરોના વાઇરસ મહામારીની વચ્ચે ફિલ્મોનું શૂટિંગ કર્યું હતું અને ફિલ્મ્સના ક્રૂ સાથે મળીને કારગર સિસ્ટમ અપનાવતાં બાયો-બબલ બનાવ્યું છે. ‘પૃથ્વીરાજ’નું શૂટિંગ પણ અમે આવી રીતે જ કર્યું હતું. સદન્સીબે સેટ પર કોઈ અણધારી ઘટના ઘટી નહોતી.’
સંજય દત્તની પ્રશંસા કરતાં ચન્દ્રપ્રકાશ દ્વિવેદીએ કહ્યું હતું કે ‘સંજય ખૂબ જ પ્રોફેશનલ ઍક્ટર છે અને આ ફિલ્મમાં તેમનું હોવું અમારા માટે નસીબની વાત છે. અમે બધા તેમની હેલ્થને લઈને ખૂબ ચિંતિત હતા, પરંતુ સંજય તો ફાઇટર છે અને તેમણે સાબિત કરી આપ્યું છે કે તેમને કોઈ પછાડી શકશે નહીં. ‘પૃથ્વીરાજ’માં તેમનો અગત્યનો રોલ છે અને વિશ્વને તેમનો પર્ફોર્મન્સ દેખાડવા માટે અમે આતુર છીએ.’