આગામી ફિલ્મમાં ઇરફાનની સાથે કામ કરવાની ઇચ્છા અધૂરી રહી ગઈ મોહિત રૈનાની
મોહિત રૈનાએ જણાવ્યું હતું કે તેને ઇરફાન સાથે વિશાલ ભારદ્વાજની ફિલ્મમાં કામ કરવાની તક મળી હતી. જોકે ઇરફાને પોતાની બીમારીને કારણે એ ફિલ્મ છોડી દીધી હતી. ઇરફાનનું 29 એપ્રિલે અવસાન થયું હતું. ઇરફાન સાથેની ફિલ્મ વિશે મોહિત રૈનાએ કહ્યું હતું કે ‘ઇરફાન સરની બીમારીનું નિદાન થયું એ પહેલાં એક પ્રોજેક્ટમાં અમે બન્ને સાથે કામ કરવાના હતા. હું આ ફિલ્મને લઈને ખૂબ ઉત્સાહિત હતો. એ વિશાલ ભારદ્વાજની ફીચર ફિલ્મ હતી. ત્યાર બાદ તેમની બીમારીની વાત પ્રકાશમાં આવી હતી. વિશાલ ભારદ્વાજે પણ નક્કી કર્યું હતું કે તેઓ ફિલ્મ તેમની સાથે જ બનાવશે. એથી તેમણે આ પ્રોજેક્ટને હોલ્ડ પર રાખ્યો હતો. હું તેમની સાથે કામ કરવા માટે ખૂબ ઉત્સાહિત હતો, પરંતુ કમનસીબે એ ફિલ્મ બની શકી નહીં. હું એ વાતને લઈને ખૂબ આશાવાદી હતો કે સ્થિતિ સુધરી જશે તો અમે સાથે કામ કરીશું.’