આ કારણે પદ્મશ્રી પરત આપી દેવા તૈયાર છે અભિનેત્રી કંગના રનોટ
કંગના રનોટ, સુશાંત સિંહ રાજપૂત
બૉલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના નિધનને એક મહિનો પુરો થઈ ગયો. પરંતુ વિવાદો તો પુરા થવાના નામ જ નથી લેતા. અભિનેતાએ ખરેખર આત્મહત્યા કરી કે પછી હત્યા છે એ આજે પણ એક મોટો પ્રશ્ન છે. આ વાત ફક્ત અભિનેતના ફૅન્સ જ નહીં પણ કેટલાક બૉલીવુડ સેલેબ્ઝ પણ કહી રહ્યાં છે. અભિનેત્રી કંગના રનોટ (Kangana Ranaut)એ પણ સુશાંતની આત્મહત્યાને મર્ડર ગણાવ્યું હતું. એટલું જ નહીં અભિનેત્રીએ સોશ્યલ મીડિયા પર વીડિયો શૅર કરીને બૉલીવુડમાં ચાલતા સગાવાદ પર પણ અનેક પ્રશ્નો કર્યા હતાં. હવે અભિનેત્રીએ કહ્યું છે કે, સુશાંત સિંહ રાજપૂતના નિધનની તપાસના મામલમાં પોતાના નિવેદન સાબિત ન કરી શકે તો તે પદ્મશ્રી પરત આપવા તૈયાર છે. એટલું જ નહીં અભિનેત્રીને પોલીસ પૂછપરછ માટે સમન્સ મોકલાવ્યું હોવાનું પણ તેનું કહેવું છે.
તાજેતરમાં રિપબ્લિક ટીવીને આપેલા એક ઈન્ટરવ્યૂમાં કંગના રનોટે કહ્યું હતું કે, મુંબઈ પોલીસે મને પૂછપરછ માટે સમન્સ આપ્યું જ છે. મેં મુંબઈ પોલીસને જણાવ્યું કે હું મનાલી છું. જો પોલીસ તેમનું સ્ટેટમેન્ટ લેવા માટે ત્યાં કોઈને મોકલી શકે તો હું તૈયાર છું, પણ પછી મને કોઈ જવાબ મળ્યો નથી. જ્યારે સ્ટેટમેન્ટ બાબતે અભિનેત્રીએ કહ્યું હતું કે, મેં જે દાવાઓ કર્યા છે તે મુદ્દે તપાસ થાય અને જો મેં કહેલી એકપણ વાત હું સાબિત ન કરી શકું કે સાચી ન પાડી શકું અને જે પબ્લિક ડોમેઇનમાં ન હોય, તો હું મારો પદ્મશ્રી પરત કરી દઈશ. કારણકે હું તેને લાયક નથી. હું એવી વ્યક્તિ નથી કે હું ફક્ત બોલવા ખાતર બોલી રહી છું, હું જે બોલી રહી છું તે સાર્વજનિક રીતે બોલી રહી છું.
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે, 14 જૂનના રોજ સુશાંત સિંહ રાજપૂતે બાંદ્રા સ્થિત ઘરમાં ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. તેના મૃત્યુ બાદ કંગના રનોટ સહિત અનેક સેલેબ્ઝે અભિનેતાને સાગાવાદનો શિકાર ગણાવ્યો હતો. આ કેસની પોલીસ તપાસ ચાલી રહી છે અને અત્યાર સુધીમાં 35થી વધુ લોકોના નિવેદન લેવામાં આવ્યા છે.