જૉન 80 વર્ષનો થશે ત્યાં સુધી ઍક્શન કરશે : મિલાપ ઝવેરી
મિલાપ ઝવેરી
૨૦૧૮માં આવેલી ‘સત્યમેવ જયતે’ના ડિરેક્ટર મિલાપ ઝવેરીએ આશા વ્યક્ત કરી છે કે જૉન એબ્રાહમ જ્યાં સુધી ૮૦ વર્ષનો થશે ત્યાં સુધી તેઓ આ ફ્રૅન્ચાઇઝીમાં નવી ફિલ્મ બનાવતા રહેશે. આ ફિલ્મને બૉક્સ-ઑફિસ પર સારો પ્રતિસાદ મળ્યો હતો. એની સીક્વલની તૈયારી હાલમાં ચાલી રહી છે. આ ફિલ્મને લઈને પોતાની મહાત્ત્વાકાંક્ષા દર્શાવતાં મિલાપ ઝવેરીએ કહ્યું હતું કે ‘જૉન અને મારી વચ્ચે એક જોક સતત ચાલે છે કે મારા માટે તે ‘રૅમ્બો’ સિરીઝનો સિલ્વેસ્ટર સ્ટેલન સમાન છે. હું તેને સતત એમ કહ્યા કરું છું કે તું ૮૦ વર્ષનો થઈશ ત્યાં સુધી આપણે ‘સત્યમેવ જયતે’ના ઇન્સ્ટૉલમેન્ટ્સ બનાવતા રહીશું.
ADVERTISEMENT
અમારી ઇચ્છા છે કે એક વર્ષ છોડીને બીજા વર્ષે અમે એના નવા-નવા ઇન્સ્ટૉલમેન્ટ બનાવતા રહીએ. દરેક ઇન્સ્ટૉલમેન્ટમાં અમે ભ્રષ્ટાચારના મુદ્દાને કેન્દ્રમાં રાખીશું. હું વિચારું છું કે એવી સ્ક્રિપ્ટ લખવામાં આવે જેમાં તે વધુ ને વધુ સારો હીરો અને લાર્જર ધેન લાઇફ દેખાઈ આવે.’
‘સત્યમેવ જયતે’ની સીક્વલમાં દિવ્યાકુમાર ખોસલા પણ લીડ રોલમાં જોવા મળશે. એપ્રિલમાં ફિલ્મનું શૂટિંગ શરૂ કરવામાં આવશે. ફિલ્મ વિશે જણાવતાં મિલાપ ઝવેરીએ કહ્યું હતું કે ‘આ ફિલ્મમાં કુલ ૧૨ ઍક્શન સીક્વન્સ હશે. એને ઍક્શન ડિરેક્ટર્સ અન્બુ-અરીવુએ ડિઝાઇન કર્યા છે. આ ફિલ્મમાં જે ઍક્શન સીક્વન્સ થવાની છે એનાં રિહર્સલ માટે પણ અમે શૂટિંગ કર્યું હતું. ફિલ્મના ફર્સ્ટ શેડ્યુલનું શૂટિંગ હું સ્ટન્ટ સાથે કરવા માગું છું. પહેલા જ દિવસે જૉન કઈંક ને કઈંક તોડફોડ કરતો જોવા મળશે.’