કૉમેડિયન રાજીવ નિગમ 'મહારાજ કી જય હો'માં
રાજીવ નિગમ
સ્ટાર પ્લસનો શો ‘મહારાજ કી જય હો’ માઇથોલૉજિકલ ટચ ધરાવતો કૉમેડી શો છે જેને દરેક વયના દર્શકો મળ્યા છે. કૉમેડી, માઇથોલૉજી અને સાયન્સ-ફિક્શનનું મિશ્રણ ધરાવતી આ સિરીઝમાં આધુનિક યુગનો માનવી ટાઇમ-મશીન દ્વારા પ્રાચીન હસ્તિનાપુરમાં પહોંચી જાય છે અને પછી કૉમેડીની હારમાળા સર્જાય છે. શોમાં સત્યજીત દુબે, રિયા શર્મા, નિતેશ પાંડે, રાજેશ કુમાર અને આકાશ દભાડે સહિતના કલાકારો છે. હવે શોના આગળના ટ્રૅક મુજબ જાણીતા અભિનેતા-કૉમેડિયન રાજીવ નિગમ પણ મહત્ત્વના રોલમાં જોવા મળશે. ‘હર શાખ પે ઉલ્લુ બૈઠા હૈ’ ટીવી-સિરીઝ ઉપરાંત અનેક કૉમેડી શો કરી ચૂકેલા રાજીવ નિગમ ‘મહારાજ કી જય હો’માં મહત્ત્વનો કેમિયો કરવાના છે. રાજીવ નિગમની એન્ટ્રીથી મનોરંજન ચોક્કસપણે વધી જવાનું છે.
આ શોનો વિશિષ્ટ કન્સેપ્ટ એની ખાસિયત છે. જોકે શો પૉપ્યુલર બનવાનું બીજું કારણ લૉકડાઉન પણ છે. કોરોના લૉકડાઉનનો સમય આ શોને ફળ્યો હોવાથી વ્યૂઅર્સની સંખ્યામાં વધારો થયો છે. ચૅનલો પર મોટા ભાગે જૂના શો ટેલિકાસ્ટ થઈ રહ્યા છે ત્યારે ‘મહારાજ કી જય હો’ ફ્રેશનેસ લાવવાનું કામ કરી રહ્યો છે.