મારે સ્ક્રીન પર ડિટેક્ટિવનું પાત્ર ભજવવું છે: અર્જુન કપૂર
અર્જુન કપૂર હંમેશાંથી કન્ટેન્ટને પસંદ કરે છે અને એથી જ તેને હવે કન્ટેન્ટથી ભરપૂર હોય એવું ડિટેક્ટિવનું પાત્ર ઑનસ્ક્રીન ભજવવું છે. કોરોના વાઇરસને કારણે લૉકડાઉન ચાલી રહ્યું છે અને એથી દરેક વ્યક્તિ ઘરમાં બંધ છે. નવા ટીવી-શો પણ ન હોવાથી જૂના શોને રિપીટ કરવામાં આવી રહ્યા છે. આવો જ એક ટીવી-શો રજિત કપૂરનો ‘ડિટેક્ટિવ બ્યોમકેશ બક્ષી’ છે જેને હાલમાં ટીવી પર રજૂ કરવામાં આવી રહ્યો છે. ઘણી સેલિબ્રિટીઝ નવા-નવા કામ કરીને પોતાને બિઝી રાખે છે ત્યારે અર્જુન આ શોને એન્જૉય કરી રહ્યો છે. આ વિશે અર્જુન કપૂરે કહ્યું હતું કે ‘બાળક હતો ત્યારે મેં જ્યારે પણ ‘ડિટેક્ટિવ બ્યોમકેશ બક્ષી’ જોયો ત્યારે મને ખૂબ જ મજા આવતી હતી એ મને આજે પણ યાદ છે. મારા માટે બ્યોમકેશ એક પર્ફેક્ટ હીરો હતો. તે એક સુપર-ઇન્ટેલિજન્ટ અને કૅરિસ્મેટિક હતો અને મેં સ્ક્રીન પર જોયેલું એ અદ્ભુત પાત્ર હતું. હું આ શોને હાલમાં ફરી જોઈ રહ્યો છું અને એ જૂના દિવસોને ફરી યાદ કરવા જેવું છે.’
આ શોને ઇન્ડિયન શેરલૉક હોમ્સ તરીકે પણ ઓળખવામાં આવતો હતો. આ વિશે વધુ વાત કરતાં અર્જુને કહ્યું હતું કે ‘બ્યોમકેશની સૌથી મહત્ત્વની વાત એ હતી કે મને જેમાં ખૂબ જ રસ પડે એવા ઇન્ટેલિજન્ટ ક્રાઇમને તે સૉલ્વ કરતો હતો. શોનું રાઇટિંગ અને જે રીતે દિમાગનો ઉપયોગ કરીને કેસ બનાવવામાં આવ્યા હતા એ મને ખૂબ જ પસંદ છે. આ શોથી તમને ખબર પડે છે કે અદ્ભુત રાઇટિંગ અને અદ્ભુત ઍક્ટિંગ કેટલી જરૂરી છે. અદ્ભુત કન્ટેન્ટને હંમેશાં યાદ રાખવામાં આવે છે અને એ દુનિયાભરમાં વખણાય છે.’
ADVERTISEMENT
ડિટેક્ટિવનું પાત્ર ભજવવા વિશે અર્જુને કહ્યું હતું કે ‘એ દિવસોથી આજ સુધી હું સ્ક્રીન પર ડિટેક્ટિવનું પાત્ર ભજવવા માગું છું જે લોકોનું જીવન બચાવે છે. અન્ડરકવર એજન્ટ બનીને ઇન્ડિયાને બચાવવાનું સપનું મારું ‘ઇન્ડિયાઝ મોસ્ટ વૉન્ટેડ’માં પૂરું થયું હતું. મને આશા છે કે ડિટેક્ટિવ બનાવવાનું પણ સપનું એક દિવસ પૂરું કરવામાં આવશે.’