પાસ્ટ અને પ્રેઝન્ટના ધમાકાવાળા આ શોને સત્યા વ્યાસની પૉપ્યુલર બુક ‘ચૌરાસી’ પરથી બનાવવામાં આવ્યો છે
ઝોયા હુસેન
ડિઝની + હૉટસ્ટાર પર આવી રહેલા ‘ગ્રહણ’માં પાસ્ટ અને પ્રેઝન્ટનો ધમાકો જોવા મળશે. ૨૪ જૂને રિલીઝ થઈ રહેલા આ શોને સત્યા વ્યાસની પૉપ્યુલર બુક ‘ચૌરાસી’ પરથી બનાવવામાં આવ્યો છે. આ શોમાં પવન મલ્હોત્રા, ઝોયા હુસેન, અંશુમન પુશ્કર, વામિકા ગાબી, તીકન જોષી જેવા ઘણા ઍક્ટર્સને પસંદ કરવામાં આવ્યા છે. આ શોમાં યુવાન આઇપીએસ ઑફિસર અમ્રિતા સિંહને એક ભૂતકાળનો સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન કેસ સોંપવામાં આવે છે. આ શોમાં ઝોયાએ અમ્રિતા અને પવને ગુરસેવકનું પાત્ર ભજવ્યું છે જેઓ પિતા-પુત્રી હોય છે. અંશુમન પુશ્કર અને વામિકા ગાબી આ શોમાં રિશી અને મનુનું પાત્ર ભજવી રહ્યાં છે જેઓ ૮૦ના દાયકામાં રોમૅન્સ કરતાં જોવા મળશે. આઠ એપિસોડના ‘ગ્રહણ’ને રંજન ચંદેલ દ્વારા ડિરેક્ટ કરવામાં આવ્યો છે. આ વિશે પવન મલ્હોત્રાએ કહ્યું હતું કે ‘આ શોમાં ઇનોસન્ટ લવ સ્ટોરી, મિસ્ટરી અને ઘણાં કૉમ્પ્લેક્સ ઇમોશન્સ જોવા મળશે પરંતુ સ્ટોરીમાં સત્યની ખોજ કરવામાં આવી રહી છે. હું નસીબદાર છું કે મને મારી કરીઅરમાં ઘણી ફિલ્મો અને ટીવી-શો કરવાના ચાન્સ મળ્યા છે, પરંતુ આ શો ખૂબ જ સ્પેશ્યલ છે કારણ કે એનું નરેટિવ ખૂબ જ સારી રીતે કરવામાં આવ્યું છે. આ શોમાં મારું પાત્ર ગુરસેવક દુનિયાથી કયું સીક્રેટ છુપાવી રહ્યો છે એ મહત્ત્વનું છે. આ સ્ટોરીને ખૂબ જ સારી રીતે રજૂ કરવામાં આવી છે.’
આ વિશે ઝોયાએ કહ્યું હતું કે ‘અમારી ‘ગ્રહણ’ એક ઇમોશનલ રોલર-કોસ્ટર જેવી છે. ઇન્વેસ્ટિગેશન ખૂબ જ પર્સનલ થઈ જાય ત્યારે દર્શકો મારા પાત્ર અમ્રિતાની દૃષ્ટિથી શોને જોઈ શકશે. દરેક પાત્ર એકબીજા સાથે કેવી રીતે કનેક્ટ થાય છે અને તેમને જે રીતે લખવામાં આવ્યું છે એ દ્વારા આ શો બાકીના તમામ શોથી એકદમ જુદો પડે છે. રિયલ ઇમોશનને પકડીને જે રીતે શો આગળ ચાલે છે એ જ આ શોનો ચાર્મ છે.’