કસૌટીમાં મિ.બજાજનું સ્થાન કોણ લેશે? શરદ કેરકળ કે ગૌરવ ચોપડા?
તસવીર સૌજન્ય: સોશ્યલ મીડિયા
લૉકડાઉન બાદ 'કસૌટી ઝિંદગી કી 2'નું શૂટિંગ શરૂ થવા જઈ રહ્યું છે. આ સિરિયલમાં મિસ્ટર રીષભ બજાજનું પાત્ર ભજવતા અભિનેતા કરણ સિંગ ગ્રોવરે શૉ છોડવાની જાહેરાત કરી દીધી છે. ત્યારથી જ હવે આ પાત્રમાં કયો અભિનેતા જોવા મળશે તેની ચર્ચાએ જોર પકડયું છે. તેમજ મિ.બજાજની શોધ પણ મેકર્સે શરૂ કરી દીધી હોવાના સમાચાર છે. આ પાત્ર માટે શરદ કેરકળ અને ગૌરવ ચોપડાના નામ સંભળાઈ રહ્યાં છે. કોરોના વાયરસ (COVID-19) મહામારીને લીધે સાવચેતીના પગલે કરણે સિરિયલ છોડવાનું નક્કી કર્યું છે.
આવતા અઠવાડિયાથી 'કસૌટી ઝિંદગી કી 2'નું શૂટિંગ શરૂ થવાનું છે. સિરિયલમાં મિ.બજાજના પાત્ર માટે ગૌરવ ચોપડાને ફાઈનલ કરવામાં આવ્યા હોવાના સમાચારે જોર પકડયું હતું. આ બાબતે જ્યારે ગૌરવને પુછવામાં આવ્યું કે, શું મિ.બજાજના રૉલ માટે બાલાજી ટેલિફિલ્મ્સે તેનો સંપર્ક કર્યો છે તો અભિનેતાએ કહ્યું હતું કે પ્રોડક્શન હાઉસ સત્તાવાર નિવેદન જાહેર કરે પછી જ તે જવાબ આપશે, તેમ એક અહેવાલમાં જણાવ્યું છે.
ADVERTISEMENT
જ્યારે પિન્કવિલાના અહેવાલ પ્રમાણે, મિ.બજાજના પાત્ર માટે અભિનેતા શરદ કેરકળનો પણ સંપર્ક કરવામાં આવ્યો છે. અત્યારે પ્રોડક્શન હાઉસ અને શરદ વચ્ચે ચર્ચા ચાલી રહી છે. હજી સુધી કંઈ નક્કી નથી થયું. આ અઠવાડિયાના અંતે બધુ ફાઈનલ થાય તેવી શક્યતા છે. એટલું જ નહીં, મેકર્સ હજી બીજા વિકલ્પો વિશે પણ વિચારી રહ્યાં છે.
'કસૌટી ઝિંદગી કી 2'માં કરણ સિંગ ગ્રોવરના સ્થાને મિસ્ટર રીષભ બજાજના પાત્રમાં શરદ કેરકળ જોવા મળશે કે ગૌરવ ચોપરા કે પછી અન્ય કોઈ અભિનેતા એ તો હવે સમય જ કહેશે.