`ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ`ની પ્રથમ સીઝનના સ્પર્ધક પરાગ કંસારા(Parag Kansara)નું નિધન થયું છે. તેના મિત્ર અને પ્રખ્યાત કોમેડિયન સુનીલ પાલ(Sunil Pal)એ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને આ માહિતી આપી છે.
પરાગ કંસારા (તસવીર: અભિલાષ ઘોડા ઈન્સ્ટાગ્રામ)
ટીવી ઈન્ડસ્ટ્રી માટે વધુ એક દુખદ સમાચાર સામે આવ્યાં છે. બૉલિવૂડના પીઢ કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ (Raju Srivastav)બાદ વધુ એક કોમેડિયને દુનિયાને અલવિદા કહી દીધું છે. `ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ`ની પ્રથમ સીઝનના સ્પર્ધક પરાગ કંસારા(Parag Kansara)નું નિધન થયું છે. તેના મિત્ર અને પ્રખ્યાત કોમેડિયન સુનીલ પાલ(Sunil Pal)એ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને આ માહિતી આપી છે.
સુનીલ પાલ પરાગને યાદ કરી થયા ભાવુક
ADVERTISEMENT
કોમેડિયન સુનીલ પાલે કોમેડિયનના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. સુનીલ પાલ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરીને ભાવુક દેખાઈ રહ્યા છે, તેમણે કહ્યું કે, `હેલો મિત્રો, કોમેડીના ક્ષેત્રમાંથી વધુ એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે, અમારા લાફ્ટર ચેલેન્જ પાર્ટનર પરાગ કંસારા જી હવે આ દુનિયામાં નથી. દરેક વસ્તુની વિરુદ્ધ વિચાર કરો એમ કહીને તે અમને હસાવતા હતા. પરાગ ભૈયા હવે આ દુનિયામાં નથી. ખબર નથી કોને કોમેડીની દુનિયાની નજર લાગી ગઈ છે. અમે થોડા દિવસ પહેલા જ રાજુભાઈને ગુમાવ્યા હતા. આપણે એક પછી એક કોમેડીનો સ્તંભ ગુમાવી રહ્યા છીએ.` સુનીલ પાલે આ વીડિયોમાં દિપેશ ભાનને પણ યાદ કર્યા હતા.
View this post on Instagram
પરાગ કંસારા મુળ ગુજરાતી હતા
પરાગ ગુજરાતના વડોદરાના રહેવાસી હતા. તે ઘણા સમયથી ટીવી અને કોમેડી શોથી દૂર હતા. પરાગ ટીવીના સુપરહિટ કોમેડી રિયાલિટી શો `ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ`માં સ્પર્ધક તરીકે જોવા મળ્યા હતા. આ શો ભારતીય ટેલિવિઝનનો પ્રથમ એવો શો હતો જેણે સ્ટેન્ડઅપ કોમેડિયનને એક મોટું પ્લેટફોર્મ આપવાનું કામ કર્યું હતું. આ શોએ નવા કોમેડિયનોને પણ પોતાની છાપ બનાવવાની તક આપી. આ શોથી પરાગને ઘરે-ઘરે ઓળખ મળી હતી.
લાફ્ટર ચેલેન્જની પ્રથમ સિઝનમાં સ્પર્ધક
પરાગ કંસારા `ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ`ની પ્રથમ સીઝનના સ્પર્ધક હતા. જો કે, તે વિજેતા ન બની શક્યા, પરંતુ તેની કોમેડી દર્શકોને ખૂબ પસંદ આવી. આ શો સિવાય તે અન્ય કોમેડી શો (કોમેડી કા કિંગ કૌન)માં પણ જોવા મળ્યા હતાં. પરાગ છેલ્લા કેટલાક સમયથી કોઈ કોમેડી શોમાં જોવા મળ્યો નહોતા.