ઐસી દીવાનગી દેખી નહીં કહીંની બીજી સીઝન સાઇકો થ્રિલર હશે
રિચા રાઠોડ
ઝી ટીવી પર રોમૅન્ટિક ડ્રામા શો ‘ઐસી દીવાનગી દેખી નહીં કહીં’ની બીજી સીઝન આવવાની છે. ૨૦૧૭માં લૉન્ચ થયેલી પહેલી સીઝન ઍક્ટર અને પ્રોડ્યુસરના વિવાદને કારણે દસેક મહિનામાં જ બંધ કરવામાં આવી હતી. છેલ્લા કેટલાક સમયથી ઝી ટીવી પર નવો થ્રિલર શો લૉન્ચ થવાનો છે એવા સમાચાર હતા અને એ શો ‘ઐસી દીવાનગી દેખી નહીં કહીં’ની બીજી સીઝન છે એવું સામે આવ્યું છે. પહેલી સીઝનમાં પ્રેમ (પ્રણવ મિશ્રા) અને તેજસ્વિની (જ્યોતિ શર્મા) કઈ રીતે દુશ્મનમાંથી પ્રેમી બની જાય છે એની વાત હતી જ્યારે બીજી સીઝનમાં એક સાઇકો કિલર અને ડૉક્ટરની વાર્તા જોવા મળશે.
‘ઐસી દીવાનગી દેખી નહીં કહીં 2’માં એવા સાઇકો કિલરની વાત હશે જે સુંદર લાંબા વાળ ધરાવતી છોકરીઓનાં મર્ડર કરે છે અને એ પછી તેનો ભૂતકાળ ખૂલે છે. શોમાં લીડ ઍક્ટર કોણ હશે એ હજી નક્કી થયું નથી, પણ ફીમેલ લીડ તરીકે રિચા રાઠોડનું નામ ફાઇનલ થયું છે. ‘રાધાકૃષ્ણ’, ‘દિવ્યા દૃષ્ટિ’ ફેમ રિચા રાઠોડ ‘ઐસી દીવાનગી દેખી નહીં કહીં 2’માં એક ડૉક્ટરનો રોલ કરવાની છે જેને જોઈને કિલર પ્રેમમાં પડી જાય છે.