અનુપમ ખેરે ઍરપોર્ટ પર ભૂતપૂર્વ ક્રિકેટરની મુલાકાતને સુંદર સરપ્રાઇઝ ગણાવી
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
અનુપમ ખેરની તાજેતરમાં ભૂતપૂર્વ ક્રિકેટર અનિલ કુંબલે સાથે ઍરપોર્ટ પર મુલાકાત થઈ હતી. અનુપમ ખેરે આ મુલાકાતને લઈને એક ભાવુક પોસ્ટ શૅર કરી છે, જેમાં તેમણે આ મુલાકાતને એક સુંદર સરપ્રાઇઝ ગણાવી છે.
પોતાની પોસ્ટમાં અનુપમ ખેરે લખ્યું છે, ‘દુનિયા અનિલ કુંબલેને ભારતના શ્રેષ્ઠ ક્રિકેટરોમાંના એક તરીકે ઓળખે છે, પરંતુ તેમની અંદર એક અદ્ભુત વ્યક્તિ પણ વસે છે જે શાંત, વિનમ્ર અને ગૌરવથી ભરપૂર છે. આ મુલાકાત દરમિયાન મને ફરી એક વાર તેમની સરળતા અને સંસ્કારિતાનો અનુભવ થયો. થોડા સમય પહેલાં મને અનિલ કુંબલે અને તેમની પત્ની ચેતનાએ કરેલા સુંદર સંસ્કૃત પાઠ સાંભળવાનો મોકો મળ્યો હતો. આ અનુભવ ખૂબ જ પ્રભાવશાળી હતો અને મારા મન પર લાંબા સમય સુધી અસર છોડી ગયો. આજના ઝડપી સમયમાં જ્યારે લોકો પોતાની મૂળ સંસ્કૃતિથી દૂર જઈ રહ્યા છે ત્યારે અનિલ કુંબલે અને તેમની પત્ની ખરા દિલથી ભારતીય સંસ્કૃતિને જીવંત રાખી રહ્યાં છે અને એની ઉજવણી કરી રહ્યાં છે. તેઓ ભારતીય વારસાનાં સાચાં સાંસ્કૃતિક દૂત છે.’
