Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Total Timepaas: કપિલ શર્માની દીકરીની તસવીર, કંગના જગન્નાથનાં દર્શને

Total Timepaas: કપિલ શર્માની દીકરીની તસવીર, કંગના જગન્નાથનાં દર્શને

20 February, 2021 01:31 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

Total Timepaas: કપિલ શર્માની દીકરીની તસવીર, કંગના જગન્નાથનાં દર્શને

Total Timepaas: કપિલ શર્માની દીકરીની તસવીર, કંગના જગન્નાથનાં દર્શને


કંગના રનોટે કહ્યું... હું તો હાડકાં ભાંગનારી

મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ સંસદસભ્ય સુખદેવ પાંસેને જવાબ આપતાં કંગના રનોટે કહ્યું હતું કે તે હાડકાં ભાંગનારી છે. આ એમપીએ કંગના રનોટને ‘નાચને-ગાનેવાલી’ જણાવી છે. કંગના તેની સ્પાય-થ્રિલર ‘ધાકડ’નું શૂટિંગ મધ્ય પ્રદેશના સરણીમાં કરી રહી હતી. કંગનાએ નવી દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂતોના આંદોલનની વિરુદ્ધમાં સોશ્યલ મીડિયા પર ટ્વીટ્સ કર્યાં હતાં. એથી કૉન્ગ્રેસના કેટલાક નેતાઓએ ધમકી આપી હતી કે તેઓ કંગનાને શૂટિંગ કરવા નહીં દે. સરકારના ખેતી સંબંધિત કાયદાના વિરોધમાં કેટલાક મહિનાઓથી ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. તેમને કૉન્ગ્રેસ ટેકો આપી રહી છે. કૉન્ગ્રેસનું કહેવું છે કે કંગનાએ ખેડૂત વિરોધી જે પણ નિવેદનો આપ્યાં છે એ બદલ માફી માગે. ગુરુવારે સુખદેવ પાસેના નેતૃત્વમાં કૉન્ગ્રેસના કાર્યકર્તાઓએ એક રૅલી કાઢી હતી અને જિલ્લા કલેક્ટરને મેમોરેન્ડમ આપ્યું હતું. કૉન્ગ્રેસના દેખાવના વિરોધમાં પોલીસે તેમની વિરુદ્ધ પગલાં લીધાં અને એફઆઇઆર પણ દાખલ કર્યો છે. પોલીસની કાર્યવાહી વિશે સુખદેવ પાંસેએ કહ્યું હતું કે ‘એક નાચવા અને ગાવાવાળી મહિલા આપણા ખેડૂતોના સ્વાભિમાનને ઠેસ પહોંચાડે અને તેનો વિરોધ કરવા માટે જો કૉન્ગ્રેસના કાર્યકર્તાઓ આગળ આવે તો પોલીસ તેમના પર લાઠીચાર્જ કરે છે. લોકશાહીમાં વિરોધ કરવો એ સૌનો અધિકાર છે, પરંતુ માત્ર એક મહિલા ખાતર પોલીસે અમારા કાર્યકર્તાઓ પર ખૂબ લાઠીચાર્જ વરસાવ્યો છે અને અમારા પર ખોટા કેસ દાખલ કર્યા છે. એથી અમે એનો વિરોધ કરીએ છીએ. પોલીસે કંગનાની કઠપૂતળી બનીને કામ ન કરવું જોઈએ, કેમ કે સરકારો તો બદલાતી રહે છે. કૉન્ગ્રેસના કાર્યકર્તાઓ વિરુદ્ધ પોલીસે જે કાર્યવાહી કરી છે એની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. સાથે જ જ્યાં સુધી તપાસ પૂરી ન થઈ જાય ત્યાં સુધી કોઈ પણ કાર્યકર્તા વિરુદ્ધ પગલાં લેવામાં ન આવે.’ 



આ વિશે જવાબ આપતાં કંગનાએ ટ્વીટ કર્યું હતું કે ‘આ મૂર્ખ જે પણ હોય તેને ખબર છે કે હું દીપિકા પાદુકોણ, આલિયા ભટ્ટ કે પછી કૅટરિના કૈફ નથી. હું એકમાત્ર એવી વ્યક્તિ છું જેણે આઇટમ-નંબર કરવા માટે ના પાડી હોય, એવી વ્યક્તિ પણ જેણે ખાન અને કુમાર જેવા મોટા હીરો સાથે પણ કામ કરવાની ના પાડી હોય. એના લીધે મહિલા અને પુરુષની બૉલીવુડિયા ગૅન્ગ મારી વિરુદ્ધ પણ થઈ ગઈ છે. હું રાજપૂત મહિલા છું. હું ઠુમકા લગાવનાર નહીં, હાડકાં ભાંગનારી છું.’


Kangana Ranaut

પુરીમાં જગન્નાથનાં દર્શને કંગના


કંગના રનોટ પુરીમાં ભગવાન જગન્નાથનાં દર્શન કરવા માટે પહોંચી હતી. તેની સાથે સિક્યૉરિટી પણ ઘણી હતી. જગન્નાથ ભગવાન, બલરામ અને દેવી સુભદ્રાનાં દર્શન કરીને તે અભિભૂત થઈ હતી. મંદિરની મુલાકાતના કેટલાક ફોટો તેણે સોશ્યલ મીડિયામાં શૅર કર્યા છે. મંદિરના પૂજારીએ તેને ભગવાનનો ફોટો પણ આપ્યો હતો. કંગનાએ ક્રીમ ડ્રેસ અને હેવી જ્વેલરી પહેર્યાં હતાં. મંદિરની બહારના કેટલાક ફોટો ટ્વિટર પર શૅર કરીને કંગનાએ કૅપ્શન આપી હતી કે ‘આપણે હંમેશાં કૃષ્ણ ભગવાનને રાધા કાં તો રુક્મિણી સાથે બિરાજમાન જોયા છે, પરંતુ પુરીમાં ભગવાન કૃષ્ણ તેમના ભાઈ બલરામ અને બહેન સુભદ્રા (અર્જુનની પત્ની અને અભિમન્યુની મા) સાથે બિરાજમાન છે. તેમનું જે ચક્ર છે એની ઊર્જાને કારણે આ સ્થાને લોકોને દિવ્ય શક્તિ અને શીતળતા મળે છે, જે લોકોને આકર્ષિત કરે છે.’

પ્રિયંકાની અનફિનિશ્ડનો ધ ન્યુ યૉર્ક ટાઇમ્સ બેસ્ટ સેલર બુકમાં સમાવેશ

NYC

પ્રિયંકા ચોપડા જોનસની બુક ‘અનફિનિશ્ડ’ ધ ન્યુ યૉર્ક ટાઇમ્સ બેસ્ટ સેલર બુકમાં સામેલ થતાં તે ખૂબ ખુશ છે. તેની આ ઑટોબાયોગ્રાફી હાલમાં જ રિલીઝ કરવામાં આવી છે. બુકને મળેલા અતિશય રિસ્પૉન્સથી તેણે ફૅન્સનો આભાર માન્યો છે. આ ન્યુઝની એક નાનકડી વિડિયો ક્લિપ ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને પ્રિયંકાએ કૅપ્શન આપી હતી કે ‘એક અઠવાડિયાની અંદર આ શક્ય થયું છે. ધ ન્યુ યૉર્ક ટાઇમ્સના બેસ્ટ સેલર્સ લિસ્ટમાં સમાવેશ થયો છે. ‘અનફિનિશ્ડ’ને સપોર્ટ આપનારા દરેકનો આભાર માનું છું. અતિશય આભારી છું.’

જોઈ લો કપિલની ક્યુટ દીકરીને

Kapil Sharma & Daughter

કૉમેડિયન કપિલ શર્માએ તેની દીકરી અનાયરાનો ફોટો શૅર કર્યો છે. સોશ્યલ મીડિયામાં તેનો ફોટો જોઈને તેના ફૅન્સ ખૂબ ખુશ થઈ ઊઠ્યા છે. કપિલ અને ગિન્ની ચતરથે ૨૦૧૮ના ડિસેમ્બરમાં હિન્દુ અને સિખ ધર્મ પ્રમાણે લગ્ન કર્યાં હતાં. તેની દીકરી અનાયરાનો જન્મ ૨૦૧૯ની ૧૦ ડિસેમ્બરે થયો હતો. ૨૦૨૧ની ૧ ફેબ્રુઆરીએ ગિન્નીએ દીકરાને જન્મ આપ્યો છે. અનાયરાએ પીચ ફ્રૉક પહેર્યું છે અને પોની બાંધી છે. ફોટોમાં તે ડૅડી કપિલની કૉપી કરતાં હાથ દેખાડી રહી છે. આ ફોટોને કપિલે ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને સવારની શુભેચ્છા પાઠવી હતી.

હાસ્યને થેરપી માને છે રકુલ

Rakul Preet Singh

રકુલ પ્રીત સિંહ હાસ્યને પોતાની થેરપી ગણે છે. રકુલે મૉલદીવ્ઝ ટ્રિપનો ફોટો શૅર કર્યો છે. એ ફોટોમાં તે પાણીની ઉપર રહેલા એક હીંચકામાં બેઠી છે. તેના ચહેરા પર મોટી સ્માઇલ છે. રકુલ ‘મે ડે’માં અમિતાભ બચ્ચન અને અજય દેવગન સાથે જોવા મળવાની છે. આ સાથે જ તેની ‘ડૉક્ટર G’ અને ‘અટૅક’ પણ પાઇપલાઇનમાં છે. પોતાનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને રકુલે કૅપ્શન આપી હતી કે લાફ્ટર મારી દરરોજની થેરપી છે.

ફૅને આત્મહત્યા કરતાં તેના વિશે દુઃખ વ્યક્ત કરીને ‘KGF’ સ્ટાર યશે કહ્યું...અમે ચાહકો પાસે પ્રેમ અને તાળીઓની આશા રાખીએ છીએ, સુસાઇડની નહીં

Yash

 ‘KGF’ના સ્ટાર યશના ફૅને સુસાઇડ કરી લેતાં તે ખૂબ દુખી થયો છે. કર્ણાટકના કોડીડોડ્ડી ગામમાં રહેતા રામક્રિષ્નાએ પોતાના ઘરે ગળે ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. રામક્રિષ્ના યશ અને કર્ણાટકના નેતા સિદ્ધારમૈયાનો ‘ડાઇ-હાર્ડ ફૅન’ હતો. તેની પાસેથી એક પાનાની સુસાઇડ-નોટ મળી આવી છે. એ નોટમાં તેણે ઉલ્લેખ કર્યો છે કે તે સિદ્ધારમૈયા અને યશનો ખૂબ જ મોટો ફૅન હતો. તેણે પોતાની અંતિમ ઇચ્છા વ્યક્ત કરતાં લખ્યું હતું કે તેના અંતિમ સંસ્કારમાં આ બન્ને પણ હાજર રહે. સુસાઇડ કરવા પાછળનું કારણ જણાવતાં તેણે લખ્યું હતું કે તે જીવનમાં ખૂબ નિષ્ફળ થયો છે. તે મમ્મી માટે એક સારો દીકરો અને મોટા ભાઈ માટે સારો ભાઈ નહોતો બની શક્યો અને સાથે જ તેના પ્રેમને પણ જીતી નથી શક્યો. એથી જીવનમાં કંઈ પણ લક્ષ ન રહેવાથી તેણે પોતાનું જીવન ટૂંકાવવાનો નિર્ણય લીધો હતો. પચીસ વર્ષના આ યુવકની અંતિમ વિધિમાં સામેલ થવા માટે સિદ્ધરમૈયા હાજર રહ્યા હતા. પોલીસ આ કેસની તપાસ કરી રહી છે. આ સમાચાર મળતાં જ યશને ખૂબ આંચકો લાગ્યો છે. યશે કહ્યું હતું કે ‘મને નથી લાગતું કે હું તેને કદી પણ મળ્યો હોઉં. જોકે આવી સ્થિતિમાં તમારા ફૅનને મળવું એ ખૂબ જ દુ:ખદ લાગે છે. નાની ઉંમરમાં કોઈએ આ રીતે પોતાના જીવનનો અંત ન લાવવો જોઈએ. અમે ઍક્ટર્સ તમારી સીટીઓ, તમારી તાળીઓ અને તમારા પ્રેમની અપેક્ષા રાખીએ છીએ. તમારી પાસેથી આવી આશા ન રાખી શકાય.’

ઉત્તરાખંડમાં ગ્લૅસિયર દુર્ઘટનાની પીડિત ફૅમિલીની દીકરીઓને ભણાવશે સોનુ સૂદ

Sonu Sood

ઉત્તરાખંડમાં ગ્લૅસિયર ફાટવાની જે ઘટના ઘટી એના પીડિતોને મદદ કરવાની બાંહેધરી સોનુ સૂદે આપી છે. સોનુ સૂદે લૉકડાઉન દરમ્યાન લોકોને જે મદદ કરી હતી એનાથી તો સૌકોઈ અવગત છે. જરૂરતમંદ લોકોની નિઃસ્વાર્થભાવે સેવા કરીને સોનુ દેશનો હીરો બની ગયો છે. લોકોએ તેને ગરીબોનો મસીહા પણ કહ્યો છે. તાજેતરમાં જ ઉત્તરાખંડના ચમોલીમાં ગ્લૅસિયર ફાટતાં જાનમાલનું ખાસ્સું નુકસાન થયું છે. પૂર આવ્યા બાદ અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા તો અનેક લોકો હજી પણ ગુમ છે. આવો જ એક પીડિત પરિવાર છે આલમ સિંહ પૂડિરનો. તે રિત્વિક કંપનીમાં ઇલેક્ટ્રિશ્યન તરીકે કામ કરતો હતો. પૂર આવ્યું ત્યારે તે ટનલની અંદર કામ કરી રહ્યો હતો. તેના પરિવારમાં તેની વાઇફ અને ૨, ૮, ૧૧ અને ૧૪ વર્ષની ચાર દીકરીઓ છે. એ તમામના ભરણપોષણની જવાબદારી સોનુએ લીધી છે. એ વિશે વધુ માહિતી આપતાં સોનુ સૂદે કહ્યું હતું કે ‘દરેક વ્યક્તિની નૈતિક જવાબદારી બને છે કે તે કુદરતી આફતનો ભોગ બનેલા પરિવારોને મદદ કરવા માટે આગળ આવે.’

કુમકુમ ભાગ્યમાં શબ્બીર અહલુવાલિયાનો ધી એન્ડ?

Shabbir

શબ્બીર અહલુવાલિયા હાલમાં તેનાં ઍક્શન દૃશ્યો પોતે કરતો જોવા મળ્યો હતો. તે ‘કુમકુમ ભાગ્ય’માં અભિનું પાત્ર ભજવી રહ્યો છે. અભિ અને પ્રગ્યાની સ્ટોરી છેલ્લાં છ વર્ષથી દર્શકોને એન્ટરટેઇનમેન્ટ પૂરું પાડી રહી છે. જોકે આગામી એપિસોડ દર્શકો માટે ખૂબ જ શૉક લઈને આવશે. અભિ અને પ્રગ્યાની પાછળ ગુંડા પડે છે. તેઓ અભિની કાર સાથે અકસ્માત કરે છે. એમાંથી બચ્યા બાદ તેઓ ત્યાંથી દોડીને ભાગવાની કોશિશ કરે છે, પરંતુ ગુંડાઓ અભિને ગોળી મારી દે છે અને તે ખીણમાં પડે છે. આ સ્ટન્ટને શબ્બીરે જાતે કર્યો હતો. આ માટે શબ્બીરે હાર્નેસનો ઉપયોગ કર્યો હતો અને તેણે એક જ ટેકમાં શૂટ કર્યું હતું. આ વિશે શબ્બીરે કહ્યું હતું કે ‘મેકર્સ દ્વારા મને જ્યારે કહેવામાં આવ્યું હતું કે અભિને ગોળી વાગે છે અને તે ખીણમાં પડે છે ત્યારે હું ખૂબ જ એક્સાઇટેડ થઈ ગયો હતો, કારણ કે એવાં ઍક્શન દૃશ્યો કરવાની ખૂબ જ મજા આવે છે. મારે ઊંચાઈ પરથી જમ્પ મારવાનો હતો અને સેટ પર મારી સેફ્ટીની દરેક કાળજી રાખવામાં આવી હતી.’

શું અભિનો ટ્રૅક એન્ડ થઈ રહ્યો છે એ વિશે પૂછતાં શબ્બીરે કહ્યું હતું કે ‘હું છેલ્લાં છ વર્ષથી અભિના પાત્રને જીવ્યો છું. મને ગોળી મારવામાં આવે છે અને મને મૃત માની લેવામાં આવે છે એ દૃશ્ય મારા માટે ખૂબ જ અલગ હતું. અભિ સાથે આગળ શું થાય છે એ જાણવા માટે દર્શકોએ રાહ જોવી રહી. ‘કુમકુમ ભાગ્ય’એ હંમેશાં દર્શકોને મનોરંજન પૂરું પાડ્યું છે અને આ ટ્વિસ્ટ દ્વારા પણ તેઓ કંઈક અલગ કરશે.’

નવાઝુદ્દીન જોગીરા સારા રા રાનું પચીસ ફેબ્રુઆરીએ શૂટિંગ શરૂ કરશે

Nawaz

નવાઝુદ્દીન સિદ્દીકી ‘જોગીરા સારા રા રા’નું શૂટિંગ પચીસ ફેબ્રુઆરીથી શરૂ કરશે. ફિલ્મનું શૂટિંગ લખનઉના બારાબંકી, રહીમાબાદ અને બનારસમાં કરવામાં આવશે. કુશાન નંદી ડિરેક્ટેડ આ ફિલ્મમાં નેહા શર્મા, સંજય મિશ્રા અને મિમો ચક્રવર્તી પણ જોવા મળશે. કુશાન અને નવાઝુદ્દીને અગાઉ ૨૦૧૭માં આવેલી ‘બાબુમોશાય બંદૂકબાઝ’માં સાથે કામ કર્યું હતું. ‘જોગીરા સારા રા રા’ વિશે કુશાન નંદીએ કહ્યું હતું કે ‘ફિલ્મ ‘જોગીરા સારા રા રા’ એક અનોખા કપલની અને અસામાન્ય કૅરૅક્ટર્સની રોમૅન્ટિક કૉમેડી રહેશે. અમે સ્ટાર્ટ-ટુ-ફિનિશ શૂટિંગ કરવાના છીએ. આ મહિનાના અંતથી શરૂઆત કરીને એપ્રિલના મધ્ય સુધી અમે શૂટ કરવાના છીએ. નવાઝ સાથે ફરીથી કામ કરવા માટે હું ઉત્સાહિત છું અને અમારી છેલ્લી ફિલ્મ કરતાં આ તદ્દન અલગ રહેશે. આ નવાઝની સ્પેશ્યલ ફિલ્મ રહેશે અને હું તો કોવિડ-19નું લૉકડાઉન પૂરું થાય એની આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો. હું ખુશ છું કે છેવટે અમે સેટ્સ પર જઈને શૂટિંગ કરવા માટે તૈયાર છીએ. હું નેહા સાથે કામ કરવા માટે એક્સાઇટેડ છું. સાથે જ હું તેના કુદરતી પાગલપન અને ફન વાઇબને એક્સપ્લોર કરવા માટે આતુર છું.’

સર્કસમાં સ્પેશ્યલ ડાન્સ-નંબરમાં જોવા મળશે દીપિકા

Deepika Padukone

રોહિત શેટ્ટીના ડિરેક્શનમાં બની રહેલી ‘સર્કસ’માં દીપિકા પાદુકોણ સ્પેશ્યલ ડાન્સ-નંબર કરતી જોવા મળશે. આ ફિલ્મમાં રણવીર સિંહ, વરુણ શર્મા, પૂજા હેગડે અને જૅકલિન ફર્નાન્ડિસ લીડ રોલમાં દેખાશે. આ ફિલ્મ શેક્સપિયરના ‘ધ કૉમેડી ઑફ એરર્સ’ પર આધારિત છે. ફિલ્મનું શૂટિંગ પુરજોશમાં ચાલી રહ્યું છે. મેકર્સની ઇચ્છા છે કે ફિલ્મનું શૂટિંગ આવતા મહિને પૂરું કરવામાં આવે. ‘સર્કસ’ એના ઍક્ટર્સને લઈને લોકોમાં કુતૂહલ જગાવી રહી છે. એવામાં હવે સાંભળવા મળ્યું છે કે દીપિકા આ ફિલ્મમાં સ્પેશ્યલ ડાન્સ-નંબરની સાથે કેટલાક સીન્સમાં પણ દેખાશે. દીપિકા તેના ફૅન્સને ખડખડાટ હસાવશે એમાં કોઈ શંકા નથી. દીપિકાએ લાસ્ટ વીક-એન્ડમાં શૂટિંગ કર્યું હતું. હવે તેણે શાહરુખ ખાન સાથેની ‘પઠાન’નું શૂટિંગ શરૂ કર્યું છે. તે શાહરુખ સાથે એક ડાન્સ-નંબરનું પણ શૂટિંગ કરવાની છે. આ ફિલ્મમાં શાહરુખ, સલમાન ખાન અને જૉન એબ્રાહમ સાથે ઍક્શન સીક્વન્સ પણ તે શૂટ કરતી જોવા મળશે. થોડા સમય પહેલાં જ તેણે શકુન બત્રાની ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યું છે.

જુલાઈમાં ચંડીગઢમાં આશિકી કરશે આયુષ્માન ખુરાના

આયુષ્માન ખુરાનાની ‘ચંડીગઢ કરે આશિકી’ને નવ જુલાઈએ રિલીઝ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ ફિલ્મમાં તેની સાથે વાણી કપૂર પણ છે. અભિષેક કપૂર દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલા આ રોમૅન્ટિક-ડ્રામા માટે આયુષ્માને પહેલી વાર તેના હોમ-ટાઉન ચંડીગઢમાં શૂટિંગ કર્યું હતું. આ ફિલ્મનું શૂટિંગ ૪૮ દિવસની અંદર પૂરું કરવામાં આવ્યું છે અને કેક કાપીને તેમણે સેલિબ્રેશન કર્યું હતું.

Whatsapp-channel Whatsapp-channel

20 February, 2021 01:31 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK