ફિલ્મના ડિરેક્ટર રાજકુમાર હિરાણીએ સ્પષ્ટતા કરીને તમામ ચર્ચાઓ પર પૂર્ણવિરામ મૂકી દીધું
રાજકુમાર હિરાણી
ફિલ્મમેકર રાજકુમાર હિરાણીએ સ્વીકાર્યું છે કે તેની બ્લૉકબસ્ટર ફિલ્મ ‘થ્રી ઇડિયટ્સ’ની સીક્વલ બની રહી છે અને એમાં ફરહાન, રૅન્ચો અને રાજુની મિડલાઇફ ક્રાઇસિસને દર્શાવવામાં આવશે. થોડા સમય પહેલાં રિપોર્ટ હતા કે આ સીક્વલમાં ‘ફોર્થ ઇડિયટ’ની એન્ટ્રી થવાની છે અને આ રોલ વિકી કૌશલ ભજવશે. જોકે હવે રાજકુમાર હિરાણીએ સ્પષ્ટતા કરી દીધી છે કે ‘થ્રી ઇડિયટ્સ’ની સીક્વલમાં વિકી કૌશલનો કોઈ રોલ નથી. આ મામલે વાત કરતાં રાજકુમાર હિરાણીએ કહ્યું હતું કે ‘મને પણ ખબર પડી છે કે ફિલ્મનું નામ ‘ફોર ઇડિયટ્સ’ રાખવામાં આવશે, પણ આ નામ મેં નથી રાખ્યું, ક્યાંક મીડિયાએ આપ્યું છે. સાચું કહું તો ફિલ્મમાં કોઈ ‘ફોર્થ ઇડિયટ’ નથી અને એની વાર્તા ૨૦ વર્ષ આગળની છે. અમે હજુ પણ લેખનપ્રક્રિયામાં છીએ અને ‘થ્રી ઇડિયટ્સ’ની સીક્વલને લઈને ખૂબ જ ઉત્સાહિત છીએ.’
