રણબીર કપૂરે એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે તે દીકરીનો ખાસ મિત્ર બનવા માગે છે
રણબીર કપૂર
રણબીર કપૂર અને આલિયા ભટ્ટના ઘરે ૨૦૨૨ની ૬ નવેમ્બરે દીકરી રાહાનો જન્મ થયો હતો. આલિયા ભટ્ટ અનેક વખત કહી ચૂકી છે કે રણબીર દીકરી સાથે ઘણો સમય વિતાવે છે. હવે રણબીરે એક યુટ્યુબ ચૅનલમાં દીકરા રાહા સાથેના પોતાના સંબંધ વિશે વાત કરી છે. રણબીરે આ ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ‘મારા અને મારા પિતા રિશી કપૂરના સંબંધોમાં થોડું અંતર હતું. અમારી વચ્ચે એક પ્રકારની અદૃશ્ય કાચની દીવાલ રહેતી હતી. હવે હું એ દીવાલ તોડી નાખવા માગું છું. હું દીકરી રાહાનો મિત્ર બનવા માગું છું. હું રાહાને પાંખ આપવા માગું છું જેથી તે જ્યાં ઇચ્છે ત્યાં ઊડી શકે.’
આ વિડિયોમાં રણબીરે પરિવારની વારસાગાથા વિશે પણ વાત કરી છે. તેણે કહ્યું કે ‘જો કોઈ વ્યક્તિ માત્ર પોતાના પૂર્વજોની નકલ કરે તો સફળતા મર્યાદિત રહી જાય છે. પોતાની અલગ ઓળખ, નવી વિચારધારા અને સાચી ભાવના સાથે જો વારસાને આગળ વધારવામાં આવે તો સફળતા મેળવવાથી કોઈ રોકી શકતું નથી.’


