મિથુન ચક્રવર્તીની તબિયત બગડતાં તેમને કલકત્તાની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
મિથુન ચક્રવર્તી
મિથુન ચક્રવર્તીની તબિયત બગડતાં તેમને કલકત્તાની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમનો એમઆરઆઇ અને અન્ય ટેસ્ટ કરવામાં આવ્યાં હતાં. તેમના દીકરા મહાક્ષય ચક્રવર્તીએ જણાવ્યું કે તેઓ માત્ર રૂટીન ચેકઅપ માટે ગયા છે. તો હૉસ્પિટલ પ્રશાસન કહે છે કે તેમને બ્રેઇન સ્ટ્રોક આવ્યો છે. તેઓ સભાન છે. કલકત્તામાં મિથુન ‘શાસ્ત્રી’ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા અને એ વખતે જ તેઓ અસ્વસ્થ થઈ ગયા. એ વખતે હાજર ટીમ તેમને સમયસર હૉસ્પિટલ લઈ ગઈ હતી. ફિલ્મની તેમની કોસ્ટાર દેબશ્રી રૉયે કહ્યું કે ‘હું હૉસ્પિટલમાં તેમને મળવા ગઈ હતી. તેઓ સ્વસ્થ છે. તેમને સમયસર હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તેમનું શૂગર લેવલ નીચે જતું રહ્યું હતું. તેઓ અસ્વસ્થ અનુભવી રહ્યા હતા. જોકે હવે તેઓ આઇસીયુની બહાર આવી ગયા છે.’
બીજી તરફ તેમની હેલ્થને લઈને આ ફિલ્મના ડિરેક્ટર પથીકૃત બાસુએ કહ્યું કે ‘હું સૌને જણાવી દઉં કે હું તેમને હૉસ્પિટલમાં મળીને આવ્યો છું. તેઓ સ્વસ્થ છે. મિથુનદાએ મને કહ્યું કે થોડા દિવસોમાં તેઓ શૂટિંગ શરૂ કરી દેશે. સાથે જ સેટ પર આવીને તેમને શું કરવું છે એ વિશે પણ તેમણે જણાવ્યું છે.’