જાહ્નવી કપૂરે AI જનરેટેડ ફોટોઝને કારણે તેને થતી સમસ્યા વિશે વાત કરી
જાહ્નવી કપૂર
જાહ્નવી કપૂર હંમેશાં નેપોટિઝમ, સામાજિક મુદ્દાઓ અને પોતાના વ્યક્તિગત અનુભવો વિશે ખુલ્લેઆમ વાત કરતી રહે છે. તાજેતરમાં તેણે ઑનલાઇન વાઇરલ થતી પોતાની આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) જનરેટેડ તસવીર જેવા ગંભીર મુદ્દાઓ પર પોતાની લાગણી વ્યક્ત કરી છે.
જાહ્નવીએ કહ્યું કે જ્યારે તે માત્ર ૧૫ વર્ષની હતી ત્યારે તેણે એક ઍડલ્ટ સાઇટ પર પોતાની મૉર્ફ્ડ તસવીર જોઈ હતી. આ ઘટના તેના સ્કૂલના દિવસોમાં કમ્પ્યુટર ક્લાસ દરમ્યાન બની હતી. જાહ્નવીએ કહ્યું કે આ અનુભવ તેના માટે ખૂબ જ અજીબ અને અસ્વસ્થ બનાવનારો હતો.
ADVERTISEMENT
જાહ્નવીએ કહ્યું કે ‘શરૂઆતમાં મેં આને ઑનલાઇન દુનિયાનો એક ભાગ માનીને અવગણવાનો પ્રયાસ કર્યો. જોકે આજે AI ટેક્નૉલૉજી વધતાં આવી નકલી તસવીરો બનાવવી વધુ સરળ બની ગઈ છે જેના કારણે સમસ્યા વધુ ગંભીર બની ગઈ છે. આ તસવીરો એવી રીતે ફેલાય છે જાણે મેં એને જાતે જ શૅર કરી હોય, જેના કારણે લોકોમાં ખોટી ઇમેજ ઊભી થાય છે. આવી નકલી તસવીરો મારા પ્રોફેશનલ જીવનને પણ અસર કરે છે. જો હું કોઈ સીન અથવા કપડાં વિશે અસહજતા વ્યક્ત કરું તો લોકો આ નકલી ફોટોઝ બતાવીને પ્રશ્નો ઊભા કરી શકે છે. આ બાબતો મને ખૂબ દુઃખ આપે છે, પરંતુ હું ઘણી વાર ખુલ્લેઆમ ફરિયાદ કરવામાં અચકાઉં છું. લોકો માનતા હોય છે કે સેલિબ્રિટીઝ પાસે બધું હોય છે, એથી તેણે આવી પરિસ્થિતિ સહન કરવી જોઈએ.’
