મધુર ભંડારકરે ફિલ્મની સીક્વલ બનાવનારા નિર્માતા સંદીપ સિંહ અને ડિરેક્ટર અજય બહલ વિરુદ્ધ IMPPAમાં ફરિયાદ નોંધાવી છે
મધુર ભંડારકર
૨૦૦૧માં તબુ અને અતુલ કુલકર્ણીની ફિલ્મ ‘ચાંદની બાર’ આવી હતી. આ ફિલ્મને સારી એવી સફળતા મળી હતી અને એણે નૅશનલ અવૉર્ડ સહિત ઘણા અવૉર્ડ્સ જીત્યા હતા. થોડા સમય પહેલાં રિપોર્ટ હતો કે નિર્માતા સંદીપ સિંહ અને ડિરેક્ટર અજય બહલ ‘ચાંદની બાર’ની સીક્વલ ‘ચાંદની બાર રિટર્ન્સ’ બનાવી રહ્યા છે. હવે મૂળ ફિલ્મના ડિરેક્ટર મધુર ભંડારકરે તેની પરવાનગી લીધા વગર ટાઇટલમાં ‘ચાંદની બાર’ શબ્દ વાપરવા બદલ સીક્વલના નામ પર વિરોધ વ્યક્ત કરીને ફરિયાદ નોંધાવી છે.
આ વિવાદમાં મધુર ભંડારકરે ફિલ્મની સીક્વલ બનાવનારા નિર્માતા સંદીપ સિંહ અને ડિરેક્ટર અજય બહલ વિરુદ્ધ ભારતીય મોશન પિક્ચર પ્રોડ્યુસર્સ અસોસિએશન (IMPPA)માં ફરિયાદ નોંધાવી છે. મધુર ભંડારકરની ફરિયાદમાં કહેવામાં આવ્યું કે સીક્વલમાં ‘ચાંદની બાર’નું ટાઇટલ પરવાનગી વિના ઉપયોગ કરવામાં આવી રહ્યું છે. ફરિયાદ પછી અસોસિએશને નિર્માતાઓને તુરંત તેમના પ્રોજેક્ટ માટે આ શીર્ષકનો ઉપયોગ બંધ કરવાનો આદેશ આપ્યો છે.


