પીયૂષ મિશ્રા આજે વિવિધ ક્ષેત્રે સક્રિય છે
પીયૂષ મિશ્રા
પીયૂષ મિશ્રાનું માનવું છે કે કલાકારે કદી પણ તેની પાસે કામ આવે એની રાહ ન જોવી જોઈએ, પરંતુ જાતે કામ ક્રીએટ કરવું જોઈએ. પીયૂષ મિશ્રા આજે વિવિધ ક્ષેત્રે સક્રિય છે. તેઓ નાટકો અને ગીતો લખે છે. નૅશનલ સ્કૂલ ઑફ ડ્રામામાંથી નીકળ્યા બાદ તેમણે દિલ્હીમાં થિયેટરમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. તેમની ફિલ્મોની વાત કરીએ તો તેમણે ‘ગૅન્ગ્સ ઑફ વાસેપુર’, ‘ગુલાલ’, ‘પિન્ક’ અને ‘હૅપી ફિર ભાગ જાએગી’માં કામ કર્યું હતું. આ સિવાય તેમણે ‘કહકે લૂંગા’ ‘બરગદ કે પેડોં’ અને ‘દિલ હારા’ જેવાં ગીતો પણ લખ્યાં હતાં. તેમની છેલ્લી વેબ-સિરીઝ ‘સૉલ્ટ સિટી’ રિલીઝ થઈ હતી. કામમાં પોતાને બિઝી રાખવા વિશે પીયૂષ મિશ્રાએ કહ્યું કે ‘મને કામ મળે છે એથી હું કામ કરું છું. આ કર્મયોગ છે. હું પરિણામની ચિંતા નથી કરતો. હું કદી પણ તક મારી પાસે આવે એની રાહ નથી જોતો. મારા માટે કામનો અભાવ નથી. હું જ્યારે ફિલ્મોમાં કામ ન કરતો હોઉં તો એ વખતે હું નાટકો, ગીતો લખું છું, એને કમ્પોઝ કરું છું અને પર્ફોર્મ પણ કરું છું. કામનું નિર્માણ કરો, એના પર કામ કરો અને કંઈક નવું ક્રીએટ કરો. એક કલાકારે કદી પણ કામની તક આવશે એની રાહ જોઈને બેઠા ન રહેવું જોઈએ, પરંતુ જાતે જ કામને ક્રીએટ કરવું જોઈએ. કોઈ તમને કામ ઑફર કરે ત્યારે તમે તેના માટે કામ કરો છો. હંમેશાં પોતાના માટે કામ નથી કરતા. કલાકારે જાતે જ કામ ક્રીએટ કરવું જોઈએ.’