ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં તો એક પણ ટિકિટ ક્ષત્રિય સમાજને નથી મળી
પરષોત્તમ રૂપાલા
ભારતીય જનતા પાર્ટી (BJP)ના કૃષિપ્રધાન પરષોત્તમ રૂપાલાએ કરેલા એક સ્ટેટમેન્ટને ક્ષત્રિયોએ એવી રીતે મન પર લઈ લીધું કે તેમને હવે રૂપાલાને ઉમેદવારીપદેથી હટાવવા જ છે અને એના સિવાય તેમને બીજું કશું નથી જોઈતું. ક્ષત્રિયને માઠું લાગી આવ્યું એ સ્ટેટમેન્ટ કયું હતું એના વિશે આપણે વાત કરવાની જરૂર નથી, કારણ કે વાત મહત્ત્વની એ છે કે એ સ્ટેટમેન્ટ પછી પરષોત્તમ રૂપાલાને પોતાને પણ લાગ્યું કે કાચું કપાઈ ગયું છે એટલે તેમણે ગણતરીના કલાકોમાં માફી પણ માગી લીધી, પણ હવે ક્ષત્રિય સમાજ એ વાત પડતી મૂકવા રાજી નથી. અહીં એ પણ યાદ દેવડાવવું રહ્યું કે રૂપાલાએ એક વાર નહીં, ત્રણથી ચાર વાર માફી માગી લીધી છે, પણ ક્ષત્રિય સમાજ હવે એક જ વાત લઈને બેઠો છે કે અમને માફી તો જ પહોંચશે જો રૂપાલાની લોકસભાની બેઠક ફેરવી નાખવામાં આવે. રૂપાલા અત્યારે રાજકોટ લોકસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવે છે, તેમની બેઠક પાછી લેવામાં આવે અને તેમને જો અન્ય કોઈ લોકસભા બેઠક પરથી ટિકિટ આપી દેવામાં આવે તો વાત પૂરી થઈ જાય એવું તમને લાગતું હોય તો તમે ભૂલ કરો છો. ધારો કે રાજકોટની બેઠકથી રૂપાલાને હટાવીને તેમને અમરેલીમાં બેઠક આપવામાં આવશે તો ત્યાં રહેલો ક્ષત્રિય સમાજ ઊભો થશે અને કહેશે કે અમને આ પ્રકારના ઉમેદવાર અહીં નથી જોઈતા.



