Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > અમાનુષી માનસિકતા : તપાસ કરવામાં આવે કે એ ઘટના ક્યાંની અને કોની નિગરાનીનું પરિણામ?

અમાનુષી માનસિકતા : તપાસ કરવામાં આવે કે એ ઘટના ક્યાંની અને કોની નિગરાનીનું પરિણામ?

26 May, 2023 04:46 PM IST | Mumbai
Manoj Joshi | manoj.joshi@mid-day.com

જો વિડિયોના મૂળ સુધી પહોંચી શકાયું તો જ આ ઘટનાના મૂળ સુધી પહોંચી શકાશે અને જો ઘટનાના મૂળ સુધી પહોંચી શકાયું તો જ આ ઘટના સાથે સંકળાયેલા આરોપીઓનાં મૂળ સુધી પહોંચી શકાશે અને તેમના સુધી પહોંચવું અત્યંત આવશ્યક છે.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક) મેરે દિલ મેં આજ ક્યા હૈ?

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)


આપણે વાત કરીએ છીએ પેલા એક ઘૃણાસ્પદ વિડિયોની. એ વિડિયો સાથે જે ટેક્સ્ટ આવી છે એમાં લખ્યું છે કે આ કેરલાની ઘટના છે અને જેની ભારોભાર નિર્દયતા સાથે હત્યા કરવામાં આવી છે એ યુવક રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો કાર્યકર છે. કેરલામાં વધતા જતા મુસ્લિમ આતંકની દુહાઈ આપીને આ મેસેજમાં કહેવામાં આવ્યું છે કે જો આ જ ચાલતું રહ્યું તો આ દેશમાં હિન્દુઓએ જીવવું દુષ્કર થઈ જશે અને આપણી બહેન-દીકરીઓ ઘરની બહાર નહીં નીકળી શકે. પહેલી વાત, મુદ્દો અત્યારે હિન્દુ-મુસ્લિમનો નથી અને મુદ્દો અત્યારે ધર્માંધપણાનો પણ નથી. મુદ્દો છે આ પ્રકારના અમાનુષી કૃત્યનો અને એનો વિરોધ કરવો ત્યારે જ શક્ય બનશે જ્યારે એ ખબર પડે કે આ ઘટના ક્યાંની છે અને એ શોધવાનું કામ સરકારનું છે.

૫૦ સેકન્ડના આ વિડિયોમાં એક વૉટરમાર્ક સતત દેખાયા કરે છે, જેમાં સુદર્શન ન્યુઝ લખાયેલું છે, જે વિડિયોમાં સતત ફર્યા કરે છે અને વારંવાર એ લોગો આવ્યા કરે છે. આ સુદર્શન ન્યુઝ ક્યાંની છે, કોણ એનું કર્તાહર્તા છે અને એની પાસે આ વિડિયો ક્યાંથી આવ્યો એ જાણવા માટે સરકારે જે કોઈ પ્રયાસ કરવાના હોય એ કરવા જ રહ્યા. આ દેશમાં આ પ્રકારનો અમાનુષી વ્યવહાર કોઈ કાળે, કોઈ હિસાબે ચલાવી લેવો ન જોઈએ. આ દૃશ્ય જોઈને ખરેખર વિચાર આવી જાય કે સાલું આપણે આજે પણ રાવણરાજ વચ્ચે જીવીએ છીએ કે શું?



જો વિડિયોના મૂળ સુધી પહોંચી શકાયું તો જ આ ઘટનાના મૂળ સુધી પહોંચી શકાશે અને જો ઘટનાના મૂળ સુધી પહોંચી શકાયું તો જ આ ઘટના સાથે સંકળાયેલા આરોપીઓનાં મૂળ સુધી પહોંચી શકાશે અને તેમના સુધી પહોંચવું અત્યંત આવશ્યક છે. નિર્દયતાનો અંત લાવવા માટે પણ તેમના સુધી પહોંચવાનું છે અને સંસ્કૃત સમાજના પ્રહરી તરીકે પણ એ પાપીઓ સુધી પહોંચવું અનિવાર્ય છે. ખરેખર, રાક્ષસી કૃત્ય જ છે એ. કેરલાની ઘટના હોય તો કેરલા સરકારથી માંડીને એકેક અધિકારી સામે પણ પગલાં લેવાવાં જોઈએ અને ધારો કે આ પગલાં લેવાઈ ચૂક્યાં હોય, જે હજી સુધી મારા ધ્યાનમાં નથી આવ્યું પણ એમ છતાં ધારો કે ઍક્શન લેવાઈ ચૂકી હોય તો ઍક્શન એ સૌ સામે લેવી જોઈએ જે આ વિડિયોને આજે પણ જીવતો રાખી રહ્યા છે; કારણ કે પ્રેમથી પ્રેમ ફેલાતો નથી પણ નફરતથી નફરતનું પોત તો મોટું અને પહોળું બને જ છે. વિડિયો જોયા પછી એકમેક પ્રત્યે મનમાં જન્મતી ઘૃણા જ નવા ઘા ઊભા કરવાની ક્ષમતા મનમાં જન્માવે છે અને એવું બને છે એને જ લીધે ભાઈચારાનું બંધન મજબૂત નથી થતું. જો આ દેશમાં હિન્દુ-મુસ્લિમની માનસિકતાનો ક્ષય કરવો હોય, જો આ દેશમાં નવેસરથી ભાઈચારાની ભાવનાને બળવાન બનાવવી હોય અને જો આ દેશમાં શાંતિ અને સુખ સાથે સમૃદ્ધિની નવી વિકાસયાત્રા શરૂ કરવી હોય તો આવી ઘટના કે પછી ઘટના સાથે જોડાયેલા વિડિયો ખોટી રીતે વાઇરલ ન થાય એ જોવાની જવાબદારી સરકારની છે અને સરકારે આ બન્ને બાબતમાં સૌથી વધારે કડક થઈને કામ કરવાનું છે.


Whatsapp-channel Whatsapp-channel

26 May, 2023 04:46 PM IST | Mumbai | Manoj Joshi

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK