પણ આ જમશેદ ભાભા એટલે કોણ? એક ઓળખાણ એ કે મુંબઈના NCPA (નૅશનલ સેન્ટર ફૉર પર્ફોર્મિંગ આર્ટ્સ)ના સ્વપ્નદૃષ્ટા જ નહીં, એના જનક અને ઘડવૈયા
જમશેદ ભાભા (યુવાન વયે)
સ્થળ: નરીમાન પૉઇન્ટ, મુંબઈ
સમય: બુધવાર, ૩૧ ડિસેમ્બર ૧૯૯૭
ADVERTISEMENT
૧૯૯૭ના વર્ષને ‘આવજો’ કહેવા અને ૧૯૯૮ના વર્ષને ‘ભલે પધાર્યા’ કહેવા મુંબઈ તૈયાર થઈ ગયું છે. નવા વર્ષમાં શહેરને એક આગવી, અનોખી ભેટ મળવાની છે. નરીમાન પૉઇન્ટ વિસ્તારમાં છેલ્લાં ચાર-પાંચ વર્ષથી ધમધોકાર કામ ચાલી રહ્યું છે. દેશના અને પરદેશના કેટલાય જાણકારો ભેગા મળીને એક વિશાળકાય ઇમારત બાંધી રહ્યા છે. બસ, હવે બે-ત્રણ મહિના જેટલું કામ બાકી છે. પછી...
‘ન જાણ્યું જાનકી નાથે, સવારે શું થશે કાલે.’ રાતના બાર વાગી ગયા છે. નરીમાન પૉઇન્ટ વિસ્તાર સૂમસામ. ત્યાં જ એકાએક ફાયરબ્રિગેડના ઘંટની ધણધણાટી. પોલીસ વૅનની સાયરનની ચીસો. મધરાતે એકાએક સૂર્યોદય થયો હોય એમ આકાશ લાલચોળ. પણ થયું છે શું? આગ લાગી. ક્યાં? NCPAમાં નવું થિયેટર બંધાઈ રહ્યું છે એમાં. આગની શરૂઆત થયા પછી થોડી જ વારમાં માત્ર એ થિયેટરના જ નહીં, આખા NCPAના સ્વપ્નદૃષ્ટા અને ઘડવૈયા જમશેદ ભાભા, ઉંમર વરસ ૮૩, હાજર થઈ ગયા. આંખો ખુલ્લી, હોઠ બંધ. પોતાના બાળક જેવા બંધાઈ રહેવા આવેલા થિયેટરને પોતાની આંખો સામે ભસ્મીભૂત થતું જોઈ રહ્યા. સવાર પડી ત્યાં સુધીમાં તો આખેઆખું થિયેટર બળીને ખાખ. પછી ફોનની વણજાર છૂટી, NCPAના ટ્રસ્ટીઓ, ટોચના અધિકારીઓ. સંદેશો : ‘તાબડતોબ મીટિંગ માટે આવી જાઓ. બધા આવી ગયા. આગ કેમ લાગી, ક્યારે લાગી, જવાબદાર કોણ? થોડી વાર બધાને મૂંગે મોઢે સાંભળી લીધા પછી જમશેદ ભાભા એટલું જ બોલ્યા : ‘એ બધી વાતો પછી. અત્યારે તો આવતી કાલ સવારથી આ થિયેટર ફરી બાંધવાનું કામ શરૂ.’
જે.આર.ડી. તાતાના હાથે તાતા થિયેટરની શિલાન્યાસવિધિ.
પણ આ જમશેદ ભાભા એટલે કોણ? એક ઓળખાણ એ કે મુંબઈના NCPA (નૅશનલ સેન્ટર ફૉર પર્ફોર્મિંગ આર્ટ્સ)ના સ્વપ્નદૃષ્ટા જ નહીં, એના જનક અને ઘડવૈયા. આપણા દેશમાં અણુશક્તિ અને અણુશસ્ત્રના જનક હોમી ભાભા, જેમની કેટલીક વાતો આપણે ગયે શનિવારે કરી હતી, તેમના ભાઈ. દોરાબજી તાતાનાં ધણિયાણી મેહરબાઈ આ બન્ને ભાઈઓનાં ફઈ થાય. જમશેદ ભાભાનો જન્મ ૧૯૧૪ના ઑગસ્ટની ૨૧મી તારીખે. મુંબઈની કૅથીડ્રલ સ્કૂલમાં ભણીને ૧૯૩૦માં ડિસ્ટિંક્શન સાથે કૅમ્બ્રિજ સ્કૂલ લીવિંગ પરીક્ષામાં પાસ થયા. ૧૯૩૧માં કૅમ્બ્રિજ હાઈ સ્કૂલ પરીક્ષામાં પાસ થયા ત્યારે એ વખતના આખા બ્રિટિશ સામ્રાજ્યના વિદ્યાર્થીઓમાં જમશેદ ભાભાએ ફ્રેન્ચમાં સૌથી વધુ માર્ક મેળવેલા. પછી લિન્કન્સ ઈનમાં કાયદાનો અભ્યાસ શરૂ કર્યો. બારની છેલ્લી પરીક્ષા આપવાની બાકી હતી. એ જ વખતે બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું અને અભ્યાસ અધૂરો મૂકીને ૧૯૩૯માં પાછા હિન્દુસ્તાન આવી જવું પડ્યું. દેશમાં આવીને તાતા સ્ટીલમાં જોડાયા અને ૧૯૪૧માં જમશેદપુરના અસિસ્ટન્ટ ચીફ ટાઉન ઍડ્મિનિસ્ટ્રેટર બન્યા. ૧૯૪૨માં બન્યા જે.આર.ડી. તાતાના પર્સનલ અસિસ્ટન્ટ. સંગીત, નાટક અને બીજી કલાઓના જબરા જાણકાર અને માણકાર. નાટક, સાહિત્ય, સંગીત, નૃત્ય, જેવી અનેક કલાઓમાં ખૂબ જ સમૃદ્ધ એવા આ દેશમાં એ બધી કલાઓના પોષણ અને સંવર્ધન તથા રજૂઆત માટે એક સંસ્થા હોવી જોઈએ એમ દૃઢતાપૂર્વક માને. અને એ માટે એક વટવૃક્ષ જેવી સંસ્થા શરૂ કરવાનું સપનું સેવે. આવી સંસ્થા માટે પહેલાં તો જે.આર.ડી. તાતાનો અને દોરાબ તાતા ટ્રસ્ટનો ટેકો મેળવ્યો.
પણ મુંબઈમાં એ વખતે પણ સૌથી મોટો પ્રશ્ન જમીન મેળવવાનો. સરકારને અરજી કરી કે મુંબઈમાં પાંચ એકર જમીન આપો. જવાબ મળ્યો : પાંચ એકર જમીન તો આપીએ, પણ મુંબઈમાં નહીં. અજન્તાની ગુફાઓની પાસે! ફરી સરકારનાં બારણાં ખખડાવ્યાં : તારાપોરવાળા ઍક્વેરિયમની સામે અમારે ખર્ચે દરિયો પૂરીને પાંચ એકર જમીન અમે મેળવીએ. જવાબ મળ્યો : ભલે, પણ દરિયો પૂરીને નહીં. દરિયા ઉપર સિમેન્ટ કૉન્ક્રીટનું પાંચ એકરનું પ્લૅટફૉર્મ બાંધો! પણ એ તો અશક્ય. જમશેદ જેનું નામ! થાકે કે હારે નહીં. નરીમાન પૉઇન્ટને નાકે દરિયો પૂરીને અમારે ખર્ચે પાંચ એકર જેટલી જમીન મેળવીએ અને એના પર ઊભું કરીએ NCPA. આ વખતે નસીબ પાધરાં હશે તે સરકાર માબાપે હકારમાં માથું ધુણાવ્યું. અને દરિયો પૂરીને જમીન મેળવવાનું કામ શરૂ થયું.
જમશેદ ભાભા થિયેટર આગમાં ખાખ.
પણ જમીન મેળવતાં અને પછી એના પર મકાનો બાંધતાં તો વર્ષો લાગી જાય! ત્યાં સુધી રાહ જોવાની ધીરજ નહોતી જમશેદ ભાભામાં કે નહોતી જે.આર.ડી. તાતામાં. મુંબઈના ભુલાભાઈ દેસાઈ રોડ પર દિનશા માણેકજી પિતિતનો આલીશાન બંગલો હતો. પણ પછી એ તોડીને એની જગ્યાએ આકાશગંગા નામની ઊંચી ઇમારત બની. એ મકાનમાં ચાલતી ભુલાભાઈ દેસાઈ ઇન્સ્ટિટ્યૂટ પણ જુદી-જુદી કલાઓને માટે એ વખતે પિયર જેવી હતી. જમશેદ ભાભાએ આકાશગંગાનો એક આખો માળ પાંચ વર્ષ માટે ભાડે રાખી લીધો. ભાડું? વર્ષનો રોકડો રૂપિયો એક! અને એકસો ખુરસીઓવાળા એ નાનકડા હૉલમાં શરૂઆત કરી દીધી NCPAની! એટલે NCPA એક એવી સંસ્થા બની જેનું ઉદ્ઘાટન બે વખત થયું. અને બન્ને વખત એક જ વ્યક્તિને હાથે. એ વ્યક્તિ તે ભારતનાં વડા પ્રધાન શ્રીમતિ ઇન્દિરા ગાંધી. ૧૯૬૯ના ડિસેમ્બરની ૨૯મી તારીખે તેમણે આકાશગંગા ઇમારતમાં NCPAનું પહેલી વાર ઉદ્ઘાટન કર્યું. નરીમાન પૉઇન્ટ ખાતે તાતા થિયેટર બંધાઈ રહ્યા પછી ૧૯૮૦ના ઑક્ટોબરની ૧૧મી તારીખે બીજી વાર ઉદ્ઘાટન પણ તેમણે જ કર્યું.
જમશેદ ભાભા જેવું થિયેટર બાંધવાનું સૂચન પહેલી વાર ઇન્દિરાજીએ જ કરેલું. NCPA થિયેટરમાં લાઇટ, સાઉન્ડ, વગેરેની ઘણી એકદમ આધુનિક સગવડો છે પણ એના સ્ટેજ આગળ પડદો નથી. પડદાવાળા થિયેટરને અંગ્રેજીમાં પ્રોસિનિયમ થિયેટર કહે છે. પડદો નથી એટલે નાટકનાં દૃશ્યો બદલવાનું અઘરું બની જાય. હા, રિવૉલ્વિંગ સ્ટેજ છે, પણ એ પડદાની ગરજ તો સારે નહીં. એટલે શ્રીમતી ગાંધીએ સૂચન કર્યું કે નાટક, ઑપેરા વગેરે રજૂ થઈ શકે એ માટે એક બીજું પ્રોસિનિયમ થિયેટર પણ બાંધવું જોઈએ. અને તેમના સૂચનને પ્રતાપે બંધાયું જમશેદ ભાભા થિયેટર. ૧૯૯૯ના નવેમ્બરની ૨૪મી તારીખે એનું ઉદ્ઘાટન થયું. એ માટે રાષ્ટ્રપ્રમુખ કે. આર. નારાયણન આવવાના હતા પણ નાદુરસ્ત તબિયતને કારણે આવી ન શક્યા એટલે તેમના વતી મહારાષ્ટ્રના ગવર્નર પી. સી. ઍલેક્ઝાન્ડરે ઉદ્ઘાટન કર્યું હતું.
વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીના હસ્તે તાતા થિયેટરનું ઉદ્ઘાટન. ખુરસી પર બેઠેલા જમશેદ ભાભા.
જમશેદ ભાભા થિયેટર બંધાઈ રહ્યું ૧૯૯૯માં, પણ એનાં આરસનાં પગથિયાં સો વર્ષ કરતાં પણ વધુ જૂનાં છે! તમે કહેશો : ‘ભેજું ગેપ થઈ ગયું છે કે શું?’ ના, જી. વાત જાણે એમ છે કે મલબાર હિલ પર એક આલીશાન બંગલો હતો, પિતિત હૉલ. કોઈ રાજાએ બંધાવ્યો હોત તો ‘મહેલ’ કહેવાત એવો. બંધાવેલો દિનશા માણેકજી પિતિત નામના ૧૯મી સદીના એક આગળ પડતા ઉદ્યોગપતિએ. પણ ‘જે જાયું તે જાય’ એ ન્યાયે વખત જતાં આ બંગલો તોડીને ત્યાં ઊંચાં-ઊંચાં ચાર મકાનો બંધાયાં. એ વખતે પિતિત કુટુંબના નબીરાઓએ તાતા કુટુંબને વિનંતી કરી કે ખાસ ઇટલીથી મગાવેલા આરસનાં પગથિયાંને ઊની આંચ ન આવે એ રીતે અમે કઢાવીએ અને તમને આપીએ. વખત આવ્યે તમે એનો ઉપયોગ કરજો – તમને યોગ્ય લાગે ત્યાં અને એ રીતે. તાતાએ હા પાડી એટલે એક-એક પગથિયું અલગ કરીને બધાં પગથિયાં તાતાના એક ગોડાઉનમાં મોકલવામાં આવ્યાં. બે-ચાર નહીં, પૂરાં ચાલીસ વર્ષ સુધી આ પગથિયાં સચવાઈ રહ્યાં. જમશેદ ભાભા થિયેટર બંધાતું હતું ત્યારે એના ફોયરમાં એ પગથિયાં વાપરવાનું નક્કી થયું. ફરી એક-એક પગથિયું ગોડાઉનમાંથી લાવીને ગોઠવાયું. સો કરતાં વધુ વર્ષ જૂનાં આ પગથિયાં જમશેદ ભાભા થિયેટરની એક આગવી ઓળખ બની રહ્યાં છે.
એક જમાનામાં આ પગથિયાં જેનો ભાગ હતાં એ પિતિત હૉલ અને એ બંધાવનાર ઉદ્યોગપતિ દિનશા માણેકજી પિતિતની કેટલીક અવનવી વાતો હવે પછી.

