મેનોપૉઝનો આ ગાળો ટેમ્પરરી હોય કે પછી કાયમી ધોરણે કામેચ્છા ચાલી જાય?
પ્રતીકાત્મક તસવીર
સવાલ : મારી પત્નીની ઉંમર ૫૧ વર્ષ છે અને તેને હમણાં માસિક જવાની પ્રક્રિયા ચાલે છે. અચાનક જ જાણે સ્વભાવ અધીરાઈભર્યો અને ચીડિયો થઈ ગયો છે. તેને કોઈ પણ વાતમાં નકારાત્મક ચીજો જ દેખાય છે. વારંવાર ઝઘડા ખોલીને બેસે છે. જૂની વાતો વાગોળશે અને પછી રડશે. એક દીકરો તો પરણીને ઠરીઠામ થઈ ગયો છે પણ નાની દીકરીનાં લગ્ન હજી બાકી છે. તેની સાથે પણ મારી વાઇફ બહુ જ આકરી થઈ જાય છે. તેને લાગે છે કે મને દીકરીની અને તેની કંઈ પડી જ નથી. બેડરૂમમાં પણ તેની નજીક જાઓ તો તરત જ દૂર હડસેલશે. કહેશે હવે મને આવુંબધું ગમતું નથી. જાતીય જીવન બાબતે તે નીરસ થઈ જશે તો શું? શું આ ટેમ્પરરી ગાળો હોય કે પછી હવે કાયમી ધોરણે તેની કામેચ્છા ચાલી ગઈ છે?
જવાબ : સામાન્ય રીતે મેનોપૉઝ વખતે થતી હૉર્મોનલ ઊથલપાથલમાં સ્વભાવમાં બહુ મોટું પરિવર્તન આવી જતું હોય છે. જોકે જેમ પ્યુબર્ટી પછી હૉર્મોન્સ સેટલ થાય અને વ્યક્તિ શાંત થાય એમ મેનોપૉઝ પછી પણ સેટલ થઈ જ જાય છે. મેનોપૉઝથી કામેચ્છા સદા માટે નથી મરતી, પરંતુ સ્વભાવ અને ગમા-અણગમામાં ટેમ્પરરી પરિવર્તનો આવે છે. માસિક બંધ થવાની આ ઘટનામાં સ્ત્રીના બીજાશયમાંથી ઈંડાં પેદા થવાનું બંધ થઈ જાય છે. સંપૂર્ણ રજોનિવૃત્તિ આવે એ એક-બે વરસનો ગાળો અવઢવવાળો રહે છે. માસિક જવાથી મહિલાની પ્રજનન ક્ષમતાનો અંત આવે છે, બાકી સેક્સ્યુઅલ ઍક્ટિવિટી સ્ત્રી છેક સુધી માણી શકે છે.
આ સમય દરમ્યાન તમારે પત્નીની લાગણીઓને સંભાળવાની અને સમજવાની જરૂર છે. તેને રડવું હોય તો તમારો ખભો આપો જેથી મન ભરીને રડી લે. તેને આ સમયે એક્સ્ટ્રા અટેન્શનની પણ જરૂર હશે. પત્ની સાથે માત્ર ફિઝિકલ ઇન્ટિમસીને બદલે રિલૅક્સેશનની હળવી પળો માણો. આ સમયગાળામાં સંભોગ કરતાં સંવનનથી સ્ત્રીના હૃદયને જીતવાનું હોય. સમાગમની શરૂઆત કરો ત્યારે પહેલાં કરતાં વધુ સમય ફોરપ્લેમાં ગાળવો. યોનિમાર્ગ પાસે કોપરેલનું ચોખ્ખું તેલ અથવા તો કેવાય જેલી લગાવીને સમાગમ કરવો જેથી પ્રક્રિયા સરળ અને સુખદ બની રહે. યાદ રહે, જ્યારે પણ એ ભાગમાં તેલ લગાવ્યું હોય એ પછીથી ત્યાં સાબુ લગાવીને ચોળીને સફાઈ થવી જરૂરી છે.
વાઇફને તૈયાર કરવા માટે માન્યતા બદલવી જરૂરી છે. મેનોપૉઝ પછી સ્ત્રી વધુ મુક્ત મને સેક્સ માણી શકે છે, કેમ કે હવે તેને પ્રેગ્નન્સીનો ડર નથી રહેતો.