અને એટલે જ સાઉથ મુંબઈમાં રહેતાં અનુજા સંઘવીએ નિર્ધાર કર્યો છે કે મુંબઈમાં શક્ય હોય એટલાં વધુમાં વધુ સ્થળોએ વૃક્ષારોપણ થાય
મિયાવાકી પદ્ધતિથી આ રીતે પ્લાન્ટ્સનું રોપણ કરવાનું હોય છે.
સામાન્ય રીતે એક જંગલને તૈયાર થતાં ૧૦૦ વર્ષ લાગે. જોકે જૅપનીઝ દ્વારા ડેવલપ થયેલી મિયાવાકી પદ્ધતિથી જો વૃક્ષારોપણ કરો તો ૨૦ ફુટની લંબાઈનાં વૃક્ષો લગભગ ત્રણેક વર્ષમાં તૈયાર થઈ જાય અને ૧૦ વર્ષમાં ઘનઘોર જંગલનું નિર્માણ થઈ શકે. આજથી લગભગ ૬ વર્ષ પહેલાં મિયાવાકી પદ્ધતિથી જંગલ બની શકે છે એવા વિચાર સાથે સાઉથ મુંબઈમાં રહેતી અનુજા સંઘવી મુંબઈ મહાનગરપાલિકા પાસે આ પદ્ધતિથી વૃક્ષારોપણ માટેની પરવાનગી લેવા ગઈ ત્યારે ત્યાં બેસેલા ઑફિસર્સને આવું પણ કંઈ હોય એનો અંદાજ નહોતો. એકધારા પ્રયાસ ચાલુ રાખીને અનુજાએ મુંબઈ મહાનગરપાલિકા પાસેથી પરમિશન મેળવી અને મુંબઈ અને એની આસપાસના વિસ્તારોમાં વૃક્ષારોપણની અનોખી યાત્રા શરૂ થઈ. આજ સુધીમાં મુંબઈ અને એની આસપાસના વિસ્તારોમાં મિયાવાકી પદ્ધતિથી લાખો વૃક્ષો વાવીને એની માવજત કરવામાં પાયાની ભૂમિકા ભજવી ચૂકેલી અનુજા એન્વાયર્નમેન્ટના જતનમાં કઈ રીતે સક્રિય ભૂમિકા ભજવી રહી છે એ જાણીએ.



