દ્રવિડ શૈલીનું મંદિર ચોરસ હોય છે. એમાં ઉપરથી પણ મંદિરની પહોળાઈ સરખી જ રહે છે. આવું કરવા પાછળ બન્ને શૈલીના સિદ્ધાંતો મહત્ત્વના બન્યા છે
અરાઉન્ડ ધી આર્ક
નાગર શૈલીનાં મંદિરો
મંદિરો બનાવવાની ઘણી શૈલી હોય છે, પણ મુખ્યત્વે આપણે ત્યાં બે શૈલીનાં મંદિરો બને છે. ઉત્તર ભારતમાં નાગર શૈલીનાં મંદિરો જોવા મળે છે તો દક્ષિણ ભારતમાં દ્રવિડ શૈલીનાં મંદિરો બને છે. ઉત્તર ભારતની જેમ જ આપણે ત્યાં એટલે કે પશ્ચિમ ભારતમાં પણ નાગર શૈલીનાં જ મંદિરો બને છે. આપણું સોમનાથનું જે મંદિર છે એ નાગર શૈલીનું મંદિર છે અને હમણાં અયોધ્યામાં રામલલાનું જે મંદિર બન્યું છે એ પણ નાગર શૈલીનું જ મંદિર છે તો કોણાર્ક મંદિર અને કાશી વિશ્વનાથ મંદિર પણ નાગર શૈલીનાં જ મંદિરો છે. પહેલું અક્ષરધામ જે ગાંધીનગરમાં બન્યું એ પણ અમે બનાવ્યું છે. એ મંદિર પણ નાગર શૈલીનું જ છે અને એ પછી બનેલાં તમામ અક્ષરધામ પણ નાગરશૈલીનાં જ મંદિરો છે. નાગર શૈલીની વિશેષતા કહું.