દેશમાં પહેલીવાર થશે 3 બેંકોનું મર્જર, કેબિનેટે આપી મંજૂરી
દેશમાં પહેલી વખત 3 બેંકોના મર્જરને મંજૂરી
કેબિનેટે દેશમાં પહેલીવાર ત્રણ બેંકોના મર્જરને મંજૂરી આપી. આ પહેલા ગયા વર્ષે સપ્ટેમ્બરમાં સરકારે સાર્વજનિક ક્ષેત્રની ત્રણ બેંકો- વિજયા બેંક, બેંક ઑફ બરોડા અને દેના બેંકના મર્જરની વાત કરી હતી અને સાથે જ સરકારે એમ પણ કહ્યું હતું કે ત્રણેય બેંકોના મર્જરથી બનેલી નવી બેંક આગામી નાણાકીય વર્ષની શરૂઆતમાં કામ કરવા લાગશે.
આ પહેલા ત્રણેય બેંકોના મર્જરને લઈને બેંક કર્મચારીઓએ વિરોધ કર્યો હતો. 10 લાખ બેંક કર્મચારીઓ 21 ડિસેમ્બર અને 26 ડિસેમ્બરના રોજ આ મર્જરના વિરોધમાં હડતાલ પર ઉતર્યા હતા. આ હડતાલ દરમિયાન સાર્વજનિક ક્ષેત્રના બેંક કર્મચારીઓના યુનિયને હડતાલનું આહ્વાન કર્યું હતું.
ADVERTISEMENT
આ પહેલા ગયા વર્ષે ભારત સરકારે દેશની સૌથી મોટી ભારતીય સ્ટેટ બેંકમાં તેની પાંચ સહયોગી બેંકો અને ભારતીય મહિલા બેંકનું મર્જર કરી દીધું હતું. ત્યારબાદ સ્ટેટ બેંક દુનિયાની ટોપ 50 બેંકોમાં સામેલ થઈ ગઈ. તે જ સમયે કેન્દ્રીય નાણામંત્રી અરૂણ જેટલીની અધ્યક્ષતાવાળી 'વૈકલ્પિક વ્યવસ્થા'એ ત્રણ બેંકોના મર્જરનો નિર્ણય લઈ લીધો હતો.
કેબિનેટે નેશનલ હેલ્થ એજન્સીના રિસ્ટ્રક્ચરિંગને પણ મંજૂરી આપી છે. તેના માધ્યમથી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનું વધારે સારી રીતે પાલન સુનિશ્ચિત કરવામાં આવશે. હવે તેને નેશનલ હેલ્થ ઓથોરિટીના નામથી ઓળખવામાં આવશે. આ ઉપરાંત કેબિનેટે અરૂણાચલપ્રદેશની અનુસૂચિત જનજાતિઓની લિસ્ટમાં સંશોધન માટે કોન્સ્ટિટ્યૂશન (શેડ્યુલ્ડ ટ્રાઇબ) અમેન્ડમેન્ટ બિલ 2018ને પણ મંજૂરી આપી છે.