રોહિત-અશ્વિનને તક ન આપવાના જવાબ પર કોહલીએ આપ્યો આ જવાબ
Mumbai : ટીમ ઇન્ડિયાએ પહેલી ટેસ્ટ મેચમાં શાનદાર જીત મેળવી લીધી છે. ત્યારે આ જીત બાદ સુકાની વિરાટ કોહલીએ કહ્યું કે, તેને ખ્યાલ છે કે ટેસ્ટ મેચ માટે પસંદ કરાયેલી પ્લેઇંગ ઇલેવન પર ગંભીર ચર્ચા થઈ શકે છે, પરંતુ તમામ નિર્ણય 'ટીમના હિતોને ધ્યાનમાં રાખીને' કરવામાં આવે છે. ભારતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ હેઠળ રમાઇ રહેલી સિરીઝના પોતાના પ્રથમ મુકબલામાં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ 318 રનથી જીત મેળવી હતી. આ મેચ માટે ટીમના દિગ્ગજ ઓફ સ્પિનર આર. અશ્વિન અને રોહિત શર્માને જગ્યા ન મળતા તેની ચર્ચા થઈ હતી. પૂર્વ મહાન ખેલાડી સુનીલ ગાવસ્કરે તેને આશ્ચર્યચકિત કરનારો નિર્ણય ગણાવ્યો હતો.
ટીમમાં જગ્યા મેળવનાર એક માત્ર સ્પિનર રવીન્દ્ર જાડેજાએ પોતાની ઉપયોગીતા સાબિત કરી હતી. જાડેજાએ પ્રથમ ઈનિંગમાં અડધી સદી ફટકાર્યા બાદ બે વિકેટ ઝડપીને કેપ્ટનને નિર્ણયને યોગ્ય સાબિત કર્યો હતો. કોહલીએ મેચ બાદ કહ્યું, 'અમે બધી ચર્ચા કરીને નક્કી કરીએ કે ટીમ માટે સર્વશ્રેષ્ઠ શું હશે. અંતિમ 11 પર હંમેશા ચર્ચા થઈ શકે છે પરંતુ લોકોને ખ્યાલ છે કે આ ટીમના હિતમાં છે.'
રોહિતની જગ્યાએ હનુમા વિહારીને તક આપવાનો નિર્ણય સાચો સાબીત થયો
રોહિત શર્માના સ્થાને હનુમા વિહારીને ટીમમાં તક આપવાનો કોહલીનો નિર્ણય પણ સાચો સાબીત થયો હતો. હનુમા વિહારીએ બીજી ઇનિંગમાં 93 રન બનાવ્યા હતા. તેણે પ્રથમ ઈનિંગમાં પણ 32 રનનું યોગદાન આપ્યું હતું. કોહલીએ કહ્યું, 'વિહારીને તે માટે તક મળી કારણ કે તે ટીમ સંયોજન માટે જરૂરી હતું. ઘણીવાર ઓવર રેટ પૂરી કરવા માટે પાર્ટટાઇમ બોલરની જરૂર હોય છે.' નિર્ધારિત ઓવરની ક્રિકેટની જેમ ટેસ્ટમાં જસપ્રીત બુમરાહ પોતાના ફોર્મ અને ફિટનેસ ટોપ પર હતો, જે માટે કેપ્ટને તેની પ્રશંસા કરી હતી.
આ પણ જુઓ : જસપ્રીત બુમરાહ:આ ફાસ્ટ બોલર છે બહેનોનો લાડલો
બુમરાહ મુખ્ય ખેલાડીઓ, તો ઇશાંત-શમી પર હંમેશા વિશ્વાસ કરી શકાય : કોહલી
મેચ બાદ સુકાની વિરાટ કોહલીએ કહ્યું, 'બુમરાહના કામના ભારનું મેનેજમેન્ટ જરૂરી છે, તેથી તે વિશ્વકપ બાદ વિન્ડીઝ વિરુદ્ધ વનડે સિરીઝમાં ન રમ્યો. જ્યાં સુધી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ચાલી રહી છે ત્યાં સુધી તે અમારા મુખ્ય ખેલાડીઓમાંથી એક હશે.' કોહલીએ કહ્યું, શમી અને ઈશાંત પર હંમેશા વિશ્વાસ કરી શકાય છે. ઉમેશ યાદવ પણ ટીમમાં છે અને નવદીપ સૈની ટીમમાં જગ્યા બનાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે, પરંતુ તેના કામનું મેનેજમેન્ટ જરૂરી છે.