વર્લ્ડ કપ 2019 બાદ કોહલી અને બુમરાહ વિન્ડીઝ સામેની સીરિઝમાં નહી રમે
Mumbai : ભારતીય ટીમના સુકાની વિરાટ કોહલી અને ગુજરાતી સ્ટાર બોલર જસપ્રીત બુમરાહને વેસ્ટ ઈન્ડિઝ સામે રમાનારી વન-ડે અને ટી20 સીરિઝમાં આરામ આપવાનો નિર્ણય ભારતીય ક્રિકેટ બોર્ડે કર્યો છે. ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની આ સીરિઝ અમેરિકા અને કેરેબિયન ધરતી પર રમાવાની છે. આ સીરિઝ 3 ઓગસ્ટથી શરૂ થશે. જોકે સુકાની વિરાટ કોહલી અને બુમરાહ બે ટેસ્ટ મેચોની સિરીઝ માટે વાપસી કરશે જે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ભાગ છે.
3 ઓગષ્ટથી ભારત-વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે સીરિઝ શરૂ થશે
વર્લ્ડ કપ 2019 પુરો થયા બાદ થોડા દિવસોમાં જ એટલે કે 3 ઓગષ્ટથી ભારતીય ક્રિકેટ ટીમ અને વેસ્ટ ઈન્ડિઝનો પ્રવાસ શરૂ થશે. ભારતે આ દરમિયાન આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપ હેઠળ બે ટેસ્ટ મેચ પણ રમવાની છે. બે ટેસ્ટ મેચ એન્ટીગુઆ સ્થિત વિવિયન રિચર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ (22-26 ઓગસ્ટ) અને જમૈકા સ્થિત સાબિના પાર્ક (30 ઓગસ્ટ-3 સપ્ટેમ્બર)માં રમાશે. આ પહેલા બંન્ને ટીમો ત્રણ ટી20 અને ત્રણ વનડે મેચ રમશે. પ્રવાસની શરૂઆત ત્રણ અને ચાર ઓગસ્ટે ફ્લોરિડાના બ્રોવાર્ડ કાઉન્ટી સ્ટેડિયમમાં બે ટી20 મેચ સાથે થશે. ત્યારબાદ બંન્ને ટીમો ગુયાના જશે, જ્યાં ત્રીજી ટી20 મેચ રમાશે.
બીસીસીઆઇના અધિકારીએ આપી જાણકારી
બીસીસીઆઈના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું, 'વિરાટ અને જસપ્રીતને ચોક્કસપણે ત્રણ મેચોની ટી20 આંતરરાષ્ટ્રીય અને ત્રણ મેચોની વનડે સિરીઝ માટે આરામ આપવામાં આવશે. વિરાટ ઓસ્ટ્રેલિયા સિરીઝની શરૂઆત બાદથી રમી રહ્યો છે અને બુમરાહનું કાર્યભાર મેનેજમેન્ટ પણ ઉચ્ચ દરજ્જાનું છે. તે ટેસ્ટ સિરીઝ પહેલા ટીમ સાથે જોડાઈ જશે.'
આ પણ જુઓ : World Cup 2019 : અફઘાનિસ્તાન સામેની રોમાંચક જીતની સફર પર એક નજર
બીસીસીઆઈના એક વરિષ્ઠ અધિકારીએ જાણકારી આપી, 'વિરાટ અને બુમરાહ ટેસ્ટ સિરીઝ પહેલા ટીમ સાથે જોડાશે.' વિશ્વ કપના મુશ્કેલ અભિયાન બાદ કેટલાક અન્ય ખેલાડીઓને પણ આ સિરીઝ દરમિયાન આરામ આપી શકાય છે. ભારત જો ફાઇનલમાં પહોંચે છે તો મુખ્ય ખેલાડી 14 જુલાઈ સુધી રમશે જેથી મુખ્ય બેટ્સમેન અને કેટલાક ફાસ્ટ બોલરોને આરામ આપવો જરૂરી હશે.
પરંતુ બીસીસીઆઈએ ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝની સાથે મળીને એવો કાર્યક્રમ બનાવ્યો છે કે ટેસ્ટ મેચ હવે ટી20 અને વનડે બાદ રમાશે. તેમણે કહ્યું, પ્રથમ ટેસ્ટ 22 ઓગસ્ટથી એન્ટિગામાં શરૂ થશે અને વર્લ્ડ કપ ટીમના મુખ્ય ખેલાડીઓ માટે આરામ કરવા માટે ઘણો સમય રહેશે.
ADVERTISEMENT
ગુયાનામાં ત્રણ વનડે મેચોની સિરીઝની પ્રથમ મેચ (8 ઓગસ્ટ)એ પણ રમાશે. બાકી બે મેચોમાં 11 અને 14 ઓગસ્ટે રમાશે. વનડે સિરીઝની સમાપ્તિના એક સપ્તાહ બાદ બંન્ને ટીમો પ્રથમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની મેચ રમશે.