રમાકાંત આચરેકરના અંતિમ સંસ્કાર રાજકીય સન્માન સાથે કેમ નહીં?
રમાકાંત આચરેકરના ગઈકાલે થયા અંતિમ સંસ્કાર
પદ્મશ્રી અને દ્રોણાચાર્ય અવૉર્ડ વિજેતા કોચ હોવા છતાં ગઈ કાલે રમાકાંત આચરેકરના અંતિમ સંસ્કાર રાજકીય સન્માન સાથે કરવામાં આવ્યા નહોતા જેને કારણે મોટો વિવાદ સરજાયો હતો. બુધવારે સાંજે જ અંતિમ સંસ્કારનો સમય (સવારે ૧૦ વાગ્યે) નક્કી કરી નાખવામાં આવ્યો હતો. જોકે એમ છતાં અંતિમ સંસ્કારના અડધો કલાક પહેલાં જ હાઉસિંગ મિનિસ્ટર પ્રકાશ મહેતાને ત્યાં હાજર રહેવા માટે જણાવાયું હતું. ‘મિડ-ડે’ સાથે વાતચીત કરતાં ચન્દ્રકાંત પંડિતે કહ્યું હતું કે ‘જો તેઓ અવૉર્ડનું સન્માન કરી શકતા ન હોય તો તેમણે સરને અવૉર્ડ આપવો જ ન જોઈએ. સરના રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર થવા જોઈતા હતા. સરકાર એમાં નિષ્ફળ ગઈ છે. સરે મુંબઈ તથા દેશને અમૂલ્ય યોગદાન આપ્યું છે. જો તમે પદ્મશ્રી અવૉર્ડ વિજેતા શ્રીદેવીને રાજકીય સન્માન સાથે વિદાય આપી શકતા હોવ તો આચરેકર સરને કેમ નહીં?’
આ પણ વાંચોઃ સચિનને કૅમ્પમાં લેવાની કેમ આચરેકરે પહેલાં ના પાડી?
ADVERTISEMENT
દેવેન્દ્ર ફડણવીસ સરકારમાં પ્રોટોકૉલ મિનિસ્ટર પ્રોફેસર રામ શિંદેએ કહ્યું હતું કે આ મામલે અમે તપાસ કરીશું તેમ જ જવાબદાર વ્યક્તિને આખરી સજા કરવામાં આવશે. અંતિમ સંસ્કાર થાય એના થોડા સમય પહેલાં ત્યાં આવેલા કૅબિનેટ મિનિસ્ટર પ્રકાશ મહેતાએ કહ્યું હતું કે ‘આવી સન્માનિય વ્યક્તિને શા માટે રાજકીય સન્માન સાથે વિદાય ન આપવામાં આવી એ વિશે હું તપાસ કરીશ. અંતિમ સંસ્કારના અડધો કલાક પહેલાં જ મને રાજ્યના પ્રતિનિધિ તરીકે અહીં હાજર રહેવા માટે જણાવાયું હતું. મને અહીં જ ખબર પડી કે તેમને પદ્મશ્રી અવૉર્ડ આપવામાં આવ્યો હતો. રાજ્ય સરકાર આ મામલે માફી માગે છે. હું મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સાથે આ મામલે વાત કરીશ.’