મારે જરૂરી એવા સુધારા કરવા હતા એના પર મેં કામ કરી લીધું : મયંક અગરવાલ
મયંક અગરવાલ
ન્યુ ઝીલૅન્ડ અને ભારત વચ્ચેની પહેલી ટેસ્ટ મૅચ ૨૧ ફેબ્રુઆરીથી શરૂ થવાની છે. આ ટેસ્ટ મૅચ માટે મયંક અગરવાલે જોઈતા એરિયામાં સુધારા કરી લીધા હોવાનું કહ્યું છે. ટેસ્ટ મૅચ પહેલાં ઇન્ડિયન્સ અને ન્યુ ઝીલૅન્ડ ઇવેલન વચ્ચે ત્રણ દિવસની પ્રૅક્ટિસ મૅચ રમાઈ હતી જે ડ્રૉ ગઈ હતી. આ પ્રૅક્ટિસ-મૅચની પહેલી ઇનિંગમાં કંઈ ન કરી શકનાર મયંકે બીજી ઇનિંગમાં ૮૧ રન બનાવ્યા હતા અને તે રિટાયર થયો હતો.
અગરવાલે પોતાની બૅટિંગ વિશે વાત કરતાં કહ્યું કે ‘અહીં રમવામાં બહુ ઝાઝો ફરક નથી, પણ બીજી બધી વાતોને બાજુએ મૂકીને હું આગળ વધવા માગું છું. હા પ્રૅક્ટિસ મૅચની બીજી ઇનિંગમાં મેં ૮૧ રન બનાવ્યા હતા અને એ જ કૉન્ફિડન્સ લઈને હું ન્યુ ઝીલૅન્ડ સામે ટેસ્ટ મૅચમાં ઊતરવા માગું છું. વિક્રમસર અને મેં સાથે બેસીને કયા એરિયા પર વધારે કામ કરવું એ વિશે પણ ચર્ચા કરી હતી. મેં તેમની સલાહ મુજબ ઇમ્પ્રૂવ પણ કર્યું છે. પહેલી ઇનિંગમાં એક રને આઉટ થયા બાદ મેં નેટમાં જઈને ઘણી પ્રૅક્ટિસ કરી હતી. બૅટિંગ માટે જતાં પહેલાં આ એક જ એવી વાત છે જે કરી શકાય એમ છે અને હું ખુશ છું કે હું સુધારો કરી શક્યો છું.’