હાર્દિક પંડ્યાએ જણાવ્યો કોહલીએ આપેલો ગુરુમંત્ર
વિરાટ કોહલી
ઇન્ડિયન ક્રિકેટ ટીમના કૅપ્ટન વિરાટ કોહલીએ તાજેતરમાં ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને ટીમ ઇન્ડિયાને એક ગુરુમંત્ર આપ્યો છે. તેણે દરેક પ્લેયરને યોગ્ય દિશામાં સતત પ્રયત્નશીલ રહેવાની સલાહ આપી છે. વિરાટ કોહલી સાથે થયેલી વાતચીત જણાવતાં હાર્દિક પંડ્યાએ કહ્યું કે ‘બે દિવસ પહેલાં મારી વિરાટ સાથે વાત થઈ હતી અને મેં તેને તેની સફળતાનું રહસ્ય પૂછ્યું હતું. તેણે મને જવાબમાં કહ્યું કે તારો ગેમ પ્રત્યેનો ઍટિટ્યુડ સારો છે, પણ તારે એક વાત મગજમાં રાખવી જોઈએ કે તારે સતત સારું પર્ફોર્મ કરતા રહેવાનું છે. તારે નંબર-વન બનવાનું છે, પણ એ માટે યોગ્ય દિશામાં રમવું જરૂરી છે. એ માટે કોઈને નીચા નથી પાડવાના. તારે તારા હાર્ડવર્કથી જ મેરિટમાં આવવાનું છે. નંબર-વન બનવું એ જ તારું લક્ષ્ય હોવું જોઈએ. વિરાટની આ વાત પરથી મને ખબર પડી કે શા માટે તે સતત સારું પર્ફોર્મ કરતો રહે છે. માત્ર કોહલી જ નહીં, પણ રોહિત શર્મા અને ધોની જેવા પ્લેયરો પણ બીજા નંબરે આવવા નથી માગતા, પણ આ બધા પ્લેયરોની એક ખાસ વાત છે કે તેઓ જો બીજા આવે તો પણ તેમનો કોઈ વાંધો નથી ઉઠાવતા અને એ જ તેમની મહાનતા છે. પહેલા નંબરે આવવા તેઓ ફરી પાછા પ્રયત્નશીલ બની જાય છે. બેસ્ટ બનવા માટે તમારે મહેનત કરવી પડે છે.’