અર્પિતે શુક્રવારના ૧૧૨ રનના સ્કોરને આગળ વધારતાં ૪૦૬ બૉલમાં કુલ ૨૦૨ રન કર્યા હતા.

કૅપ્ટન અર્પિત વસાવડા
કૅપ્ટન અર્પિત વસાવડાએ ફટકારેલી ડબલ સેન્ચુરીને કારણે કર્ણાટક સામે સૌરાષ્ટ્રએ લીધેલી મહત્ત્વની ૧૨૦ રનની પહેલી ઇનિંગ્સની લીડને કારણે ટીમ રણજી ટ્રોફીની ફાઇનલની નજીક પહોંચી છે. અર્પિતે શુક્રવારના ૧૧૨ રનના સ્કોરને આગળ વધારતાં ૪૦૬ બૉલમાં કુલ ૨૦૨ રન કર્યા હતા. તેને ચિરાગ જાની (૭૨ રન)નો સારો સાથ મળ્યો હતો, પરિણામે કર્ણાટકના ૪૦૭ રન સામે સૌરાષ્ટ્રએ ૫૨૭ રન કર્યા હતા. જો મૅચ ડ્રૉ જાય તો પહેલી ઇનિંગ્સની લીડના આધારે સૌરાષ્ટ્ર ફાઇનલ માટે ક્વૉલિફાય થશે. કર્ણાટકે ચોથા દિવસની રમતના અંતે ચાર વિકેટે ૧૨૩ રન કર્યા હતા.
બંગાળ રણજીની ફાઇનલમાં
ડિફેન્ડિંગ ચૅમ્પિયન સામે પોતાની કુલ લીડને ૫૪૭ રન સુધી પહોંચાડતાં બંગાળ રણજી ટ્રોફીની ફાઇનલમાં વર્ચ્યુઅલી પહોંચી ગયું હતું. પહેલી ઇનિંગ્સમાં ૨૬૮ રનની લીડ મેળવનાર બંગાળે બીજી ઇનિંગ્સમાં ૯ વિકેટે ૨૭૯ રન કરીને દાવ ડિક્લેર કર્યો હતો. જો પાંચમા દિવસે મૅચ ડ્રૉ જાય તો પણ બંગાળ લીડના આધારે ફાઇનલમાં પ્રવેશશે. રણજી ટ્રોફીની ફાઇનલ મૅચ ૧૬ ફેબ્રુઆરીથી રમાશે.