પંજાબે પાંચ વિકેટે તાબડતોડ ૨૩૬ રન ફટકાર્યા, લખનઉ સાત વિકેટે ૧૯૯ રન કરીને ૩૭ રને હાર્યું. પંજાબના ઓપનર પ્રભસિમરન સિંહે ૨૦૦ રનના સ્કોર સુધી અડીખમ લડત આપી, લખનઉના ટૉપ ઑર્ડરની કમર તોડીને ફાસ્ટ બોલર્સ અર્શદીપ સિંહ અને અઝમતુલ્લાહ ઓમરઝાઈએ જીત નિશ્ચિત કરી.
અર્શદીપ સિંહ અને પ્રભસિમરન સિંહ
IPL 2025ની ૫૪મી મૅચ પંજાબ કિંગ્સે ૩૭ રને લખનઉ સુપર જાયન્ટ્સ સામે જીત મેળવી હતી. પંજાબે પ્રભસિમરન સિંહની ૯૧ રનની ઇનિંગ્સ અને તેની ચાર મહત્ત્વપૂર્ણ ભાગીદારીઓની મદદથી પાંચ વિકેટે ૨૩૬ રન ખડકી દીધા હતા જે લખનઉ સામે કોઈ પણ ટીમનો હાઇએસ્ટ અને ધરમશાલાનો બીજો મોટો સ્કોર હતો. લખનઉ આયુષ બદોનીના ૭૪ રનની મદદથી સાત વિકેટે ૧૯૯ રન કરીને સીઝનમાં સળંગ ત્રીજી મૅચ હાર્યું હતું.
ટુર્નામેન્ટના સૌથી મોંઘા કૅપ્ટન્સની ટક્કરમાં પંજાબના શ્રેયસ ઐયરે લખનઉના રિષભ પંતને સીઝનની બન્ને ટક્કરમાં કારમી હાર આપી છે. પહેલી ટક્કરમાં પંજાબે આઠ વિકેટે વિજય મેળવ્યો હતો.
ટૉસ હારીને પહેલાં બૅટિંગ કરતાં પંજાબે પહેલી જ ઓવરમાં બે રનના સ્કોર પર પ્રિયાંશ આર્ય (ચાર બૉલમાં એક રન)ની વિકેટ ગુમાવી હતી. ત્રીજા ક્રમે આવેલા જોશ ઇંગ્લિસે (૧૪ બૉલમાં ૩૦ રન) બીજી જ ઓવરમાં હૅટ-ટ્રિક સિક્સર ફટકારીને રન બનાવવાની ગતિ વધારી હતી. છ ચોગ્ગા અને સાત છગ્ગાની મદદથી ૪૮ બૉલમાં ૯૧ રનની ઇનિંગ્સ રમનાર પ્રભસિમરન સિંહે ત્રીજી વિકેટ માટે કૅપ્ટન શ્રેયસ ઐયર (પચીસ બૉલમાં ૪૫ રન) સાથે ૭૮ રનની ભાગીદારી કરીને ટીમનો સ્કોર ૧૦૦ને પાર કર્યો હતો.
પંજાબના પ્રભસિમરને યંગ બૅટર નેહલ વઢેરા (૯ બૉલમાં ૧૬ રન) સાથે ચોથી વિકેટની ૩૪ રનની પાર્ટનરશિપની મદદથી ૧૫૦ રન અને શશાંક સિંહ (૧૫ બૉલમાં ૩૩ રન અણનમ) સાથે પાંચમી વિકેટે ૫૪ રનની પાર્ટનરશિપ કરીને ૨૦૦ રનનો આંકડો પણ પાર કરાવ્યો હતો. ઑલરાઉન્ડર માર્કસ સ્ટોઇનિસે (પાંચ બૉલમાં ૧૫ રન અણનમ) અંતિમ ઓવર્સમાં વધારાના રન ઉમેર્યા હતા. લખનઉ તરફથી સ્પિનર દિગ્વેશ રાઠી અને ફાસ્ટ બોલર આકાશ મહારાજ સિંહને બે-બે વિકેટ મળી હતી.
૨૩૭ રનનો ટાર્ગેટ ચેઝ કરવા ઊતરેલા લખનઉએ પાવરપ્લેમાં જ જીતની આશા ગુમાવી દીધી હતી, કારણ કે ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે (૧૬ રનમાં ત્રણ વિકેટ) પહેલી છ ઓવરમાં તેમના સ્ટાર બૅટર્સ મિચલ માર્શ (પાંચ બૉલમાં ઝીરો), એઇડન માર્કરમ (૧૦ બૉલમાં ૧૩ રન) અને નિકોલસ પૂરન (પાંચ બૉલમાં છ રન)ને સસ્તામાં આઉટ કરી દીધા હતા. અફઘાની ઑલરાઉન્ડર અઝમતુલ્લાહ ઓમરઝાઈ (૩૩ રનમાં બે વિકેટ)એ રિષભ પંત (૧૭ બૉલમાં ૧૮ રન) અને ડેવિડ મિલર (આઠ બૉલમાં ૧૧ રન)ની વિકેટ લઈને ૧૦ ઓવરમાં ૭૩ રનના સ્કોર પર લખનઉની અડધી ટીમને પૅવિલિયન ભેગી કરી દીધી હતી. આયુષ બદોની (૪૦ બૉલમાં ૭૪ રન) અને અબ્દુલ સમદે (૨૪ બૉલમાં ૪૫ રન) છઠ્ઠી વિકેટ માટે ૮૧ રનની ભાગીદારી કરીને હારનું અંતર ઘટાડ્યું હતું. પંજાબના અર્શદીપ સિંહે જબરદસ્ત બોલિંગનું પ્રદર્શન કરતાં પાવરપ્લેમાં જ લખનઉના ડેન્જરસ બૅટ્સમૅન એઇડન મારક્રમ, મિચલ માર્શ અને નિકોલસ પૂરનને આઉટ કરીને પંજાબની જીત નિશ્ચિત કરી નાખી હતી. તેણે ૪ ઓવરમાં માત્ર ૧૬ રન આપીને ૩ વિકેટ લીધી હતી. પંજાબ કિંગ્સના ઓપનિંગ બૅટ્સમૅન પ્રભસિમરન સિંહ ૯૧ રનની મહત્ત્વપૂર્ણ ઇનિંગ્સ રમ્યો હતો.
IPLમાં કોણ કેટલા પાણીમાં? |
||||||
ટીમ |
મૅચ |
જીત |
હાર |
નો-રિઝલ્ટ |
નેટ રન-રેટ |
પૉઇન્ટ |
બૅન્ગલોર |
૧૧ |
૮ |
૩ |
૦ |
+૦.૪૮૨ |
૧૬ |
પંજાબ |
૧૧ |
૭ |
૩ |
૧ |
+૦.૩૭૬ |
૧૫ |
મુંબઈ |
૧૧ |
૭ |
૪ |
૦ |
+૧.૨૭૪ |
૧૪ |
ગુજરાત |
૧૦ |
૭ |
૩ |
૦ |
+૦.૮૬૭ |
૧૪ |
દિલ્હી |
૧૦ |
૬ |
૪ |
૦ |
+૦.૩૬૨ |
૧૨ |
કલકત્તા |
૧૧ |
૫ |
૫ |
૧ |
+૦.૨૪૯ |
૧૧ |
લખનઉ |
૧૧ |
૫ |
૬ |
૦ |
-૦.૪૬૯ |
૧૦ |
રાજસ્થાન |
૧૨ |
૩ |
૯ |
૦ |
-૦.૭૧૮ |
૬ |
હૈદરાબાદ |
૧૦ |
૩ |
૭ |
૦ |
-૧.૧૯૨ |
૬ |
ચેન્નઈ |
૧૧ |
૨ |
૯ |
૦ |
-૧.૧૧૭ |
૪ |
ADVERTISEMENT
૧૨ વર્ષ બાદ ધરમશાલામાં પંજાબ કિંગ્સની જીત
પંજાબે પોતાના ધરમશાલાના હોમ ગ્રાઉન્ડ પર ૨૦૧૩ બાદ પહેલી વાર જીત નોંધાવી છે. ત્યાર બાદ ૨૦૨૩ અને ૨૦૨૪માં આ મેદાન પર રમાયેલી ટોટલ ચાર મૅચમાં પંજાબને હારનો સામનો કરવો પડ્યો હતો. લખનઉ સામેની આ મેદાનની પહેલી ટક્કરમાં જીત મેળવી પંજાબે આ હારનો સિલસિલો તોડ્યો છે.

