એલએલસીના સીઈઓ કહે છે કે ‘ડિવિલિયર્સ, પોલાર્ડ, સ્ટેન બધાને મારું ખુલ્લું ઇન્વિટેશન છે; અમારી લીગમાં પ્લેયર્સની સરેરાશ ઉંમર ૪૨થી ઘટીને ૩૮ થઈ ગઈ છે’
હરભજન સિંહના સુકાનમાં મણિપાલ ટાઇગર્સ ટીમ શનિવારે રાતે સુરતમાં ચૅમ્પિયન બની હતી. ટીમમાં ઉથપ્પા, કૉલિન ડીગ્રેન્ડમ અને બીજા જાણીતા પ્લેયર્સનો પણ સમાવેશ હતો.
ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં રમીને ધરાઈ જતાં અથવા પોતાના દેશ વતી રમવાનો વધુ મોકો ન મળતાં ઘણા ખેલાડીઓ ડોમેસ્ટિક મૅચોમાં તેમ જ આઇપીએલમાં રમીને ક્રિકેટના મેદાન સાથે સંકળાયેલા રહે છે અને હવે તો આવા પ્લેયર્સ માટે બીજા દેશોની લીગ પણ રમાય છે તેમ જ ખાસ કરીને લેજન્ડ્સ લીગ ક્રિકેટ (એલએલસી) પણ આવા ખેલાડીઓ માટે બહુ સારો વિકલ્પ છે. આ જ લીગના સીઈઓ રમણ રાહેજાની ઇચ્છા છે કે એક દિવસ મહેન્દ્ર સિંહ ધોની પણ તેમની લીગમાં જોડાઈ જાય.
એલએલસી તરફ ગૌતમ ગંભીર, સુરેશ રૈના અને હરભજન સિંહથી માંડીને યુનિવર્સ બૉસ ક્રિસ ગેઇલ અને જૅક કૅલિસ સુધીના ઘણા આઇકન્સ આકર્ષાયા છે અને પોતાની કાબેલિયત બતાવવા મેદાન પર દોડી આવ્યા છે. તેમણે સત્તાવાર રીતે કોઈએ કંઈ પુરવાર નથી કરવાનું હોતું છતાં તેઓ ૧૦૦ ટકા ક્ષમતાથી રમતા હોય છે. રમણ રાહેજાએ મીડિયા રાઉન્ડ ટેબલમાં આઇ.એ.એન.એસ. સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ‘ધોની આઇપીએલમાંથી નિવૃત્ત થઈ જાય કે તરત જ અમારી એલએલસીમાં જોડાઈ જાય એ ક્ષણ જોવા હું આતુર છું. તેને માટે અમારો દરવાજો હંમેશાં ખુલ્લો છે. તે રમવા તૈયાર છે એવી મને જાણ થશે કે તરત હું તેની પાસે જઈને એલએલસીમાં જોડાવા ઇન્વાઇટ કરીશ. હું તો માનું છું કે આવા લેજન્ડરી ખેલાડીઓ અમારી લીગ તરફ બીજા પ્લેયર્સને આકર્ષતા હોય છે. આરસીબીનો સ્ટાર એબી ડિવિલિયર્સ અને મુંબઈ ઇન્ડિયન્સનો લેજન્ડ કીરોન પોલાર્ડ પણ એલએલસીમાં જોડાવાની તૈયારીમાં છે. ડેલ સ્ટેન આ વખતે ઈજાને લીધે ન રમી શક્યો, પણ હવે પછી રમવા ઉત્સુક છે. શેન વૉટ્સન એલએલસીમાં શૉન માર્શને લાવવા માગે છે, જ્યારે ન્યુ ઝીલૅન્ડમાંથી માર્ટિન ગપ્ટિલ રમવા આવ્યો છે. ડ્્વેઇન બ્રાવો પણ એલએલસીમાં રમે એવું હું ઇચ્છું છું.’ ૫૦ વર્ષના સ્પોર્ટ્સ બિઝનેસ પ્રોફેશનલ રાહેજાએ એવું પણ કહ્યું કે ‘અમારી લેજન્ડ્સની ટુર્નામેન્ટમાં પ્લેયર્સની ઍવરેજ ઉંમર ઘટી રહી છે. પહેલી સીઝનમાં ૪૨ હતી અને હવે ઘટીને ૩૮ થઈ ગઈ છે. મારા માટે આ સૌથી મોટી જીત છે. હું તો ઇચ્છું છું કે દરેક ક્રિકેટર પોતાની બીજી ઇનિંગ્સ માટે અમારી લીગને જ પસંદ કરે. અમારી દરેક સીઝન એની અગાઉની સીઝન કરતાં ચડિયાતી બની રહી છે.’
ADVERTISEMENT
તાજેતરમાં દક્ષિણ ભારતની એક ઇવેન્ટ દરમ્યાન મહેન્દ્ર સિંહ ધોની. ચેન્નઈ સુપર કિંગ્સનો આ સુપરસ્ટાર ખેલાડી ૨૦૨૪ની આઇપીએલમાં પણ રમશે એવી પાકી સંભાવના છે.
હરભજનની ટીમ રૈનાની ટીમને હરાવીને લેજન્ડ્સની નવી ચૅમ્પિયન : બન્ને અવૉર્ડ શ્રીલંકન પ્લેયર્સને
સુરતમાં શનિવારે લેજન્ડ્સ લીગ ક્રિકેટ (એલએલસી)ની રોમાંચક ફાઇનલમાં હરભજન સિંહના સુકાનમાં મણિપાલ ટાઇગર્સે સુરેશ રૈનાની કૅપ્ટન્સીવાળી અર્બનરાઇઝર્સ હૈદરાબાદની ટીમને ૬ બૉલ બાકી રાખીને પાંચ વિકેટના માર્જિનથી હરાવીને ટ્રોફી જીતી લીધી હતી. હૈદરાબાદે બૅટિંગ મળ્યા પછી રિક્કી ક્લાર્ક (૮૦ રન, બાવન બૉલ, ચાર સિક્સર, છ ફોર) અને ગુરકીરત સિંહ માન (૬૪ રન, ૩૬ બૉલ, બે સિક્સર, આઠ ફોર)ની હાફ સેન્ચુરીની મદદથી ૨૦ ઓવરમાં પાંચ વિકેટે ૧૮૭ રન બનાવ્યા હતા. ટાઇગર્સ ટીમના પંકજ સિંહે બે વિકેટ તેમ જ મિચલ મૅક્લૅનઍગન અને થિસારા પરેરાએ એક-એક વિકેટ લીધી હતી. ટાઇગર્સની ટીમે ૧૯ ઓવરમાં પાંચ વિકેટે ૧૯૩ રન બનાવીને વિજય મેળવ્યો હતો. શ્રીલંકન બૅટર અસેલા ગુણવર્તને (૫૧ અણનમ, ૨૯ બૉલ, પાંચ સિક્સર) મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ જીત્યો હતો. રૉબિન ઉથપ્પા (૪૦ રન, ૨૭ બૉલ, એક સિક્સર, પાંચ ફોર) તેમ જ ઍન્જેલો પરેરા (૩૦ રન, ૨૩ બૉલ, એક સિક્સર, એક ફોર), શૅડવિક વૉલ્ટન (૨૯ રન, ૧૭ બૉલ, એક સિક્સર, ચાર ફોર) અને થિસારા પરેરા (પચીસ રન, ૧૩ બૉલ, એક સિક્સર, ત્રણ ફોર)નાં પણ જીતમાં યોગદાન હતાં. સ્પર્ધામાં કુલ ૧૦૮ રન બનાવવા ઉપરાંત ૮ વિકેટ લેનાર શ્રીલંકન ઑલરાઉન્ડર થિસારા પરેરાને મૅન ઑફ ધ ટુર્નામેન્ટનો અવૉર્ડ અપાયો હતો. ભારતના ભૂતપૂર્વ ડોમેસ્ટિક પ્લેયર અને પેસ બોલર મોહમ્મદ ઇમરાન ખાને (મણિપાલ ટાઇગર્સ) સૌથી વધુ ૯ વિકેટ લીધી હતી.

