રાજીવ શુક્લા અને દેવજિત સાઇકિયા ફરીથી અનુક્રમે વાઇસ પ્રેસિડન્ટ અને સેક્રેટરી તરીકે ચૂંટાઈ આવ્યા હતા; આર. પી. સિંહ અને પ્રજ્ઞાન ઓઝા બન્યા સિલેક્ટર્સ
BCCIના હેડક્વૉર્ટરમાં યોજાયેલી ૯૪મી ઍન્યુઅલ જનરલ મીટિંગમાં પ્રેસિડન્ટ તરીકે ચૂંટાઈ આવ્યા પછી મિથુન મન્હાસે પત્રકારો સાથે વાતચીત કરી હતી.
દિલ્હીનો ભૂતપૂર્વ કૅપ્ટન મિથુન મન્હાસ બોર્ડ ઑફ કન્ટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI)નો નવો પ્રેસિડન્ટ બન્યો છે. ગઈ કાલે મુંબઈમાં BCCIના હેડક્વૉર્ટરમાં યોજાયેલી ૯૪મી ઍન્યુઅલ જનરલ મીટિંગમાં મિથુન પ્રેસિડન્ટ તરીકે ચૂંટાઈ આવ્યો હતો. રાજીવ શુક્લા અને દેવજિત સાઇકિયા ફરીથી અનુક્રમે વાઇસ પ્રેસિડન્ટ અને સેક્રેટરી તરીકે ચૂંટાઈ આવ્યા હતા.
રૉજર બિન્નીએ ઑગસ્ટમાં રાજીનામું આપ્યું એને પગલે BCCIના પ્રેસિડન્ટનું પદ ખાલી થયું હતું. રૉજર બિન્નીના રાજીનામાના પગલે રાજીવ શુક્લા વચગાળાના પ્રેસિડન્ટ નિમાયા હતા.
ADVERTISEMENT
૪૫ વર્ષના મિથુન મન્હાસના ઇલેક્શનને પગલે તે BCCIના પ્રેસિડન્ટના પદે પહોંચેલો માત્ર ત્રીજો ક્રિકેટર બન્યો છે. તેના પહેલાં ભૂતપૂર્વ ક્રિકેટરો સૌરવ ગાંગુલી અને રૉજર બિન્ની આ પદ પર પહોંચ્યા છે.
મિથુન મન્હાસ મોટા ભાગનો સમય દિલ્હી માટે ડોમેસ્ટિક ક્રિકેટ રમ્યો હતો, પણ પછી જમ્મુ ઍન્ડ કાશ્મીર માટે પણ રમ્યો હતો. ત્યાં તેણે કોચિંગ પણ કર્યું હતું.
આર. પી. સિંહ અને પ્રજ્ઞાન ઓઝા બન્યા સિલેક્ટર્સ
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરો આર. પી. સિંહ અને પ્રજ્ઞાન ઓઝાને અજિત આગરકરના નેતૃત્વવાળી સિલેક્શન કમિટીમાં નિયુક્ત કરવામાં આવ્યા છે.
ડોમેસ્ટિક અને IPL પર્ફોર્મન્સ
ડોમેસ્ટિક ક્રિકેટમાં મિથુન મન્હાસે ૧૪૭ ફર્સ્ટ-ક્લાસ મૅચોમાં ૨૭ સેન્ચુરી અને ૪૯ હાફ સેન્ચુરી સાથે ૯૭૧૪ રન કર્યા હતા. ઇન્ડિયન પ્રીમિયર લીગમાં તે દિલ્હી ડેરડેવિલ્સ, પુણે વૉરિયર્સ ઇન્ડિયા અને ચેન્નઈ સુપર કિંગ્સ માટે ૨૦૧૪ સુધીમાં કુલ મળીને પંચાવન મૅચો રમ્યો હતો જેમાં ૧૦૯.૩૬ના સ્ટ્રાઇક-રેટ સાથે ૫૧૪ રન કર્યા હતા.
