ધોની પાસેથી શીખ્યો કે બધું વ્યવસ્થિત ચાલે ત્યારે ફેરફાર ન કરવા:બદરીનાથ
બદરીનાથ
ભારતના ભૂતપૂર્વ બૅટ્સમૅન એસ. બદરીનાથનું કહેવું છે કે મહેન્દ્ર ધોની પાસેથી હું શીખ્યો છું કે જ્યારે બધું વ્યવસ્થિત ચાલી રહ્યું હોય ત્યારે વધારે ફેરફાર ન કરવો જોઈએ. બદરીનાથ ધોનીના નેતૃત્વમાં ચેન્નઈ સુપર કિંગ્સમાં રમ્યો છે. તે ભારત માટે એક ટી૨૦, ૭ વન-ડે અને બે ટેસ્ટ મૅચ રમ્યો છે. ધોનીની વાત કરતાં બદરીનાથે કહ્યું કે ‘હું ધોની પાસેથી એક વસ્તુ શીખ્યો છું કે જે વસ્તુ વ્યવસ્થિત ચાલી રહી હોય એ વિશે વધુ ફેરફાર ન કરવા જોઈએ. આપણને ખબર નથી હોતી કે એ વસ્તુ પણ કામ કરી જ રહી છે અને એવામાં સારું એ જ છે કે એને હાથ ન લગાડવો જોઈએ. ચેન્નઈ સુપર કિંગ્સ સૌથી અદ્ભુત ફ્રૅન્ચાઇઝી છે, કારણ કે ત્યાં તમે તમારું કામ સ્વતંત્ર રીતે કરી શકો છો. સૌથી મહત્ત્વની વાત એ છે કે ધોનીને લોકો પસંદ કરે છે. એક પ્લેયર તરીકે હજી પણ તેનામાં ક્રિકેટ રમવાની ક્ષમતા છે. હજી પણ તે મોટા શૉટ ફટકારી શકે છે. ધોની માટે ઘણા સમાચાર ફરી રહ્યા છે જેમાંના મોટા ભાગના સમાચાર ખોટા છે. તે ક્રિકેટ નથી રમ્યો એને માટે તેની બૅક જવાબદાર છે. કોઈ પણ વિકેટકીપર માટે સતત આટલું લાંબુ રમવું એ તેની પીઠ માટે ખૂબ મુશ્કેલી ઊભી કરી શકે છે.’