મારો આ પરિવર્તનનો સમય ચાલે છે. માનસિક રીતે ફરી ઊર્જાત્મક થઈને પાછો જોશીલો બનવા બ્રેક લેવા તૈયાર છું.
વિરાટ કોહલી
ગઈ કાલે ગુજરાત ટાઇટન્સ સામેની મૅચ પહેલાંના વિરાટ કોહલીના નબળા ફૉર્મને કારણે અને વારંવારની નિષ્ફળતાને લીધે તેના અસંખ્ય ચાહકો હતાશ હતા, પરંતુ ખુદ કોહલીએ સ્ટાર સ્પોર્ટ્સને ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘વાસ્તવમાં હું અત્યારે મારા જીવનનો સૌથી સુખદ તબક્કો માણી રહ્યો છું. મારો આ પરિવર્તનનો સમય ચાલે છે. માનસિક રીતે ફરી ઊર્જાત્મક થઈને પાછો જોશીલો બનવા બ્રેક લેવા તૈયાર છું.’
જોકે ભૂતકાળના સુપર-ડુપર પર્ફોર્મન્સ ઉપરાંત ક્રિકેટ પ્રત્યેની તીવ્ર ઝંખના અને પૅશન બદલ કોહલી ક્રિકેટ-આઇકન બન્યો છે. તેણે કહ્યું હતું કે ‘ક્રિકેટ પ્રત્યે મારામાં પ્રબળ ઇચ્છાશક્તિ પહેલા જેવી જ છે અને એવી જ રહેશે. જે દિવસે મારામાંથી એ ઇચ્છાશક્તિ જતી રહેશે એ દિવસે હું રમવાનું બંધ કરી દઈશ. જોકે અમુક બાબતો આપણા હાથમાં નથી હોતી, કાબૂની બહાર હોય છે. તનતોડ મહેનત કરવી એ આપણા હાથમાં હોય છે અને એ રીતે હું અત્યારે સૌથી વધુ સંતુલિત સ્થિતિમાં છું અને અત્યારે ક્રિકેટમાં તેમ જ અંગત જીવનમાં જેકંઈ સ્થિતિમાં છું એમાં એકદમ ખુશ છું.’