મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં નક્સલીઓએ સુરક્ષા દળોને નિશાન બનાવ્યા છે. ગઢચિરોલીમાં નક્સલીએ પોલીસના વાહન પર હુમલો કર્યો છે. બુધવારે IED બ્લાસ્ટ કરીને પોલીસના વાહનને નિશાન બનાવ્યું જેમાં 16 પોલીસ કર્મીઓ શહીદ થઈ ગયા છે. રાજ્યના નક્સલ પ્રભાવિત વિસ્તાર ગઢચિરોલીમાં નક્સલીઓએ પોલીસની ગાડીને નિશાન બનાવી હતી. ઉલ્લેખનીય છે કે આ પહેલા ગઢચિરોલીમાં નક્સલવાદીઓએ રસ્તો બનાવતી કંપનીના 25 જેટલા વાહનોને આગ ચાંપીને સળગાવી દીધા હતા.
સાત એપ્રિલ સુરતના અમરોલીમાં પાર્ટીના કાર્યકર્તાઓ અને મતદાતાઓને સંબોધિત કરતા સમયે જીતુ વાઘાણીએ અપશબ્દોનો પ્રયોગ કર્યો હતો. જે બાદ તેમના પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ચૂંટણી પંચે ગુજરાત ભાજપના પ્રમુખ જીતુ વાઘાણીને 72 કલાક સુધી પ્રચારથી દૂર રહેવાનું કહ્યું છે. એક ચૂંટણી બેઠકમાં અપશબ્દોનો પ્રયોગ કરવા બદલ આ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તેમની પરનો પ્રતિબંધ 2 મે સાંજે ચાર વાગ્યા સુધી લાગૂ રહેશે.
આખરે જૂની ઈમારતોના રીડેવલપમેન્ટના બિલને મંજૂરી મળી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગુજરાત ઓનરશિપ ફ્લેટ્સ બિલને મંજૂરી આપી છે. રાજ્યની જૂની અને જર્જરિત ઈમારતો હવે પુનઃનિર્માણમાં જઈ શકશે. આ બિલ ગયા વર્ષે ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રમાં પસાર કરવામાં આવ્યું હતું. જેના પર રાષ્ટ્રપતિએ મહોર મારી છે. જો સોસાયટીના 75 ટકા રહેવાસીઓની મંજૂરી મળી જાય તો તે પુનઃનિર્માણમાં જશે. આ પહેલા 100 ટકા રહેવાસીઓની મંજૂરી અનિવાર્ય હતી.
ગુજરાતના સ્થાપના દિવસે ગુજરાત ગૌરવ રત્ન અવૉર્ડ આપવામાં આવશે. ગુજરાત સરકારે આ જાહેરાત કરી છે. રાજ્યના 60 રત્નોને આજે સન્માનવામાં આવશે. આ કાર્યક્રમના મુખ્ય અતિથિ બિહાર હાઈકોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ ડૉ. જે. એન. ભટ્ટ અને પોલીસ મહાનિર્દેશક શિવાનંદ ઝા, દ્વારકેશલાલજી મહારાજ અને કર્નલ કિરીય જોશીપુરા હાજર રહેશે. આ કાર્યક્રમ જે. બી. ઑડિટોરિયમ હૉલમાં થશે. ગુજરાત ગૌરવ રત્ન અવૉર્ડ કેડિલા હેલ્થકેરના ચેરમેન પંકજ પટેલ, ગુજ્જુભાઈ ફેમ સિદ્ધાર્થ રાંદેરિયા, ગઝલકાર મનહર ઉધાસ, નૃત્યકાર કુમુદીની લાખિયા, સાંઈરામ દવે, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ નેહા મહેતા અને એન્ટરપ્રાઈઝિંગ ઈન્ડિયનના યુવા ફાઉન્ડેર ભાવેશ ઉપાધ્યાયને આપવામાં આવશે.
અમદાવાદના વિદ્યાર્થીએ JEEમાં આખા ગુજરાતમાં ટોપ કર્યું છે. સોમવારે JEEના પરિણામો જાહેર થયા હતા. પાર્વિક દવે નામના અમદાવાદના વિદ્યાર્થીએ સમગ્ર ગુજરાતમાં JEEમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. જો કે આખા રાજ્યમાંથી કોઈ પણ ટોપ 25માં નતી આવ્યું. JEEના પરીણામો સોમવારે જાહેર થયા હતા.
લોકસભાની ચૂંટણીના ચોથા તબક્કામાં મુંબઈના સરેરાશ ૫૫.૨૯ ટકા મતદાનમાં ગુજરાતીઓની વધારે વસતી ધરાવતાં પરાં બોરીવલી, ઘાટકોપર અને મુલુંડમાં મતદાનના પ્રમાણમાં નોંધપાત્ર વૃદ્ધિ અને વરલી, શિવડી અને માહિમ જેવા મરાઠીભાષીઓની વિશેષ વસતી ધરાવતા વિસ્તારોમાં મતદાનના પ્રમાણમાં ઘટાડો નોંધાયો છે. છ સંસદીય મતક્ષેત્રો અંતર્ગત વિધાનસભા મતક્ષેત્રોના મતદાનની ટકાવારીના આંકડા રસપ્રદ છે. લોકસભાની ચૂંટણીના ચોથા તબક્કામાં મહારાષ્ટ્રની તમામ ૪૮ બેઠકોનું મતદાન પૂરું થયું છે.
થઈ જાઓ તૈયાર. આજે રાત્રે નવ વાગ્યાથી કૌન બનેગા કરોડપતિનું રજિસ્ટ્રેશન શરૂ થઈ જશે. ફરી એકવાર મહાનાયક અમિતાભ બચ્ચન નાના પડદે આવવા માટે તૈયાર છે. શોનું પહેલું ટીઝર રિલીઝ થઈ ગયું છે. અને આજથી તેના માટે રજિસ્ટ્રેશનની પણ શરૂઆત થઈ જશે.
ચેન્નઈમાં ટોચની બે ટીમ દિલ્હી અને ચેન્નઈ વચ્ચે ખરાખરીનો મુકાબલો જોવા મળશે. ડિફેન્ડિંગ ચૅમ્પિયન ચેન્નઈ અને ૨૦૧૨ પછી પહેલી વખત પ્લે-ઑફ રાઉન્ડ માટે ક્વૉલિફાઈ થયેલી દિલ્હીની ટીમ આજે ચેન્નઈના એમ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં નવા ખેલાડીઓને મોકો આપે તો નવાઈ નહીં. બન્ને ટીમે જરૂરી ૮ જીત મેળવીને ૧૬ પૉઇન્ટ્સ જમા કરી લીધા છે, પણ ચેન્નઈની ટીમનો નેટ રન-રેટ માઇનસમાં છે, કારણ કે મુંબઈએ એને પાછલી મૅચમાં ૪૬ રનથી પરાજય આપ્યો હતો.
માર્ક ઝુકરબર્ગએ લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુકને એક નવી ડિઝાઈનમાં રજૂ કરશે. આ નવા ડિઝાઈનમાં ન્યૂઝ ફીડને પૂરી રીતે બદલવામાં આવશે. એ સિવાય ફેસબુકે સોશિયલ મીડિયા પ્લેટફૉર્મની પ્રાઈવેસી પર ફોકસ કર્યું છે. આ નવી ડિઝાઈનમાં લૉન્ચના સમયથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર બનેલા સિગ્નેચર બ્લૂ બેનરને પણ હટાવવામાં આવી છે. આ નવી ડિઝાઈનમાં ફેસબુકના મેસેજિંગ એપ, ઑનલાઈન માર્કેટ પ્લેસ અને વીડિયો ઑન ડિમાન્ડ સાઈટને શોકેસ કરવામાં આવ્યા છે.
ફૂડ ડિલીવરી એપ્લિકેશન ઝોમેટો દેશભરમાં નવા વેરહાઉસ ખોલવાનું વિચારી રહી છે. અમદાવાદ સહિત દેશભરમાં તેઓ 56 કરોડનું રોકાણ કરશે. ઓનલાઈન રેસ્ટોરન્ટ ગાઈડ અને ફૂડ ઓર્ડરિંગ ફર્મ ઝોમેટોએ કહ્યું કે જેઓ દેશભરમાં 2020 સુધીમાં 56 કરોડના ખર્ચે 20 વેરહાઉસ ખોલવાનો પ્લાન કરી રહી છે. ઝોમેટો પોતાના B2B પ્લેટફોર્મ હાઈપરપ્યોર માટે આ પ્લાનિંગ કરી રહી છે.
વાંચો ત્રણ વાાગ્યા સુધીના તમામ મહત્વના સમાચાર અને અપડેટ્સ, માત્ર એક જ ક્લિકમાં