ઉત્તર પ્રદેશના ફતેહપુરમાં ગામલોકોએ શિવમંદિરમાં રુદ્રાભિષેક સાથે અનોખો હવન કર્યો. આ હવનમાં સામાન્ય આહુતિની સામગ્રીને બદલે સૂકાં લાલ મરચાંની આહુતિ આપી નકારાત્મક શક્તિઓ દૂર કરવાની માન્યતા વ્યક્ત કરી હતી.
ગામમાં સુખ-શાંતિ માટે શિવમંદિરમાં હવન કર્યો એમાં ૩૦૦ કિલો મરચાંની આહુતિ આપી
ઉત્તર પ્રદેશના ફતેહપુરમાં એક અજીબોગરીબ ધાર્મિક યજ્ઞ થયો હતો. ગામના કેટલાક લોકોએ શિવજીના મંદિરમાં રુદ્રાભિષેક કર્યો હતો. એની સાથે એક વિશેષ હવન પણ કરવામાં આવ્યો હતો. શિવજીના મંદિરના પ્રાંગણમાં થયેલો આ હવન વેદી બનાવીને થાય એવો નહોતો, પરંતુ એ માટે ઊંડો ખાડો ખોદવામાં આવ્યો હતો.
આ હવનમાં ગામલોકોએ સાદી આહુતિની સામગ્રીને બદલે સૂકાં લાલ મરચાંની આહુતિ આપી હતી. તેમનું કહેવું છે કે આમ કરવાથી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે. ગામમાં સુખ-શાંતિ આવે અને નકારાત્મક શક્તિઓથી મુક્તિ મળે એ માટે વેદપાઠી સંત અલોકાનંદજીની સલાહથી આ ધાર્મિક વિધિ થઈ હતી. એવું માનવામાં આવે છે કે આ હવન મંગળ ગ્રહ માટે છે. મંગળનો રંગ લાલ રક્ત જેવો હોય છે અને આ અનુષ્ઠાન થકી લોકોના સારા સ્વાસ્થ્યની કામના કરવામાં આવે છે.
