આ છે ૭૫ વર્ષના ખડેશ્વરબાબા : બાવીસ વર્ષથી ક્યારેય બેઠા નથી અને હવે નીકળ્યા છે ૧૦૦૦ કિલોમીટરની કઠિન દંડવત્ યાત્રા પર
બાબા આખું અંતર જમીન પર સૂઈને એટલે કે દંડવત્ પ્રણામ કરતાં-કરતાં કાપશે
રાજસ્થાનનો શેખાવતી વિસ્તાર એની અનોખી સંસ્કૃતિ તથા વીરો અને ચમત્કારી સંતોની તપોભૂમિ તરીકે જાણીતો છે. ત્યાંના સીકર જિલ્લાની દાંતારામગઢ તહસીલના બાય ગામના રહેવાસી સંત શંકરદાસ મહારાજ, જેમને ભક્તો ‘ખડેશ્વરબાબા’ તરીકે ઓળખે છે તેઓ પોતાના અનોખા સંકલ્પને કારણે આ દિવસોમાં દેશભરમાં ચર્ચાનો વિષય બન્યા છે.
બાબા તાજેતરમાં જ સંપન્ન થયેલી નિર્જલા એકાદશીના દિવસે માતા વૈષ્ણોદેવીનાં દર્શન માટે આશરે ૧૦૦૦ કિલોમીટર લાંબી અત્યંત કઠિન દંડવત્ યાત્રા પર નીકળ્યા છે. બાબા આખું અંતર જમીન પર સૂઈને એટલે કે દંડવત્ પ્રણામ કરતાં-કરતાં કાપશે. સ્થાનિક ગ્રામજનોના જણાવ્યા અનુસાર ગાયને રાષ્ટ્રમાતાનો દરજ્જો અપાવવાની પોતાની મુખ્ય માગણીને લઈને તેમણે બાવીસ વર્ષ પહેલાં બેસવાનું અને હવે સૂવાનું સંપૂર્ણપણે છોડી દીધું છે. ત્યારથી તેઓ ચોવીસે કલાક સતત ઊભા રહીને જ પોતાની દૈનિક ક્રિયાઓ અને પ્રભુસાધના કરે છે. આ જ કારણે લોકો તેમને શ્રદ્ધાથી ‘ખડેશ્વરબાબા’ કહે છે.
