પુરી લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર સંબિત પાત્રાએ તેમના ‘મહાપ્રભુ પીએમ મોદીના ભક્ત’ વાળા નિવેદન બદલ માફી માંગી હતી અને તેને મોટી ભૂલ ગણાવી હતી. તેમણે એમ પણ કહ્યું કે, જીભ લપસવા માટે મહાપ્રભુ જગન્નાથ પાસે માફી માંગવાની જરૂર છે એટલે તેમણે `ઉપવાસ` કરવાનું નક્કી કર્યું છે. સંબિત પાત્રાએ કહ્યું કે, ‘આજે મારા દ્વારા આપવામાં આવેલા એક નિવેદનથી વિવાદ ઊભો થયો હતો. પુરીમાં પીએમ નરેન્દ્ર મોદીના રોડ શો બાદ મેં ઘણી મીડિયા ચેનલોને બાઇટ આપી હતી અને દરેક જગ્યાએ મેં એક જ વાત કહી હતી કે, પીએમ નરેન્દ્ર મોદી મહાપ્રભુ જગન્નાથના પ્રખર ભક્ત છે. પછી જ્યારે બીજી ચેનલે મારી બાઈટ લીધી ત્યારે તે અત્યંત ગરમ અને ઘોંઘાટીયું વાતાવરણ હતું. એટલે બાઈટ આપતી વખતે અજાણતાં, મેં ઊલટું કહ્યું, કે મહાપ્રભુ પીએમ નરેન્દ્ર મોદીના ભક્ત છે. આ ક્યારેય સાચું ન હોઈ શકે, અને સભાન અવસ્થામાં હોય તે વ્યક્તિ ક્યારેય એવી વસ્તુઓ કહી શકતી નથી કે ભગવાન મનુષ્યના ભક્ત છે. મેં અજાણતાં આ ભૂલ કરી છે. હું જાણું છું કે કેટલાક લોકોને દુઃખ થયું હશે પણ ભગવાન પણ અજાણતાં કરેલી ભૂલોને માફ કરે છે. મારે જીભ લપસવા માટે મહાપ્રભુ જગન્નાથ પાસે માફી માંગવાની જરૂર છે અને એટલે જ મેં `ઉપવાસ` કરવાનું નક્કી કર્યું છે.’