Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ડર્યા વગર ફરજ બજાવો, જવાબદારી મારી છે

ડર્યા વગર ફરજ બજાવો, જવાબદારી મારી છે

Published : 31 July, 2026 08:45 AM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પૅલેટ ગનના વિવાદ વચ્ચે CRPFના ચીફનું નિવેદન

CRPFના ડિરેક્ટર જનરલ જ્ઞાનેન્દ્ર પ્રતાપ સિંહ

CRPFના ડિરેક્ટર જનરલ જ્ઞાનેન્દ્ર પ્રતાપ સિંહ


સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના વડાએ પોતાના જવાનોને ભયમુક્ત થઈને ફરજ બજાવવાની હાકલ કરતાં સ્પષ્ટ કર્યું છે કે તેમના દ્વારા લેવાયેલા નિર્ણયોની પૂરી જવાબદારી અને ઉત્તરદાયિત્વ તેઓ સ્વયં શિરે લેશે. રાજધાની દિલ્હીમાં વિદ્યાર્થી-આંદોલન દરમ્યાન CRPFના હુલ્લડ-નિયંત્રણ એકમ રૅપિડ ઍક્શન ફોર્સ (RAF) અને પ્રદર્શનકારીઓ વચ્ચે થયેલી હિંસક અથડામણ બાદ આયોજિત અલંકરણ સમારોહમાં CRPFના ડિરેક્ટર જનરલ જ્ઞાનેન્દ્ર પ્રતાપ સિંહે જવાનોનું મનોબળ વધારતાં આ મહત્ત્વપૂર્ણ પ્રબોધન કર્યું હતું.

દિલ્હીમાં વિરોધ-પ્રદર્શન દરમ્યાન RAF દ્વારા પેલેટ ગનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેને પગલે દળ પર બળપ્રયોગના આક્ષેપો સાથે આકરા પ્રહાર થઈ રહ્યા છે. આ પરિસ્થિતિ વચ્ચે જવાનોને સંબોધતાં મહાનિર્દેશક જ્ઞાનેન્દ્ર પ્રતાપ સિંહે જણાવ્યું હતું કે ‘CRPFના ડિરેક્ટર જનરલ તરીકે હું આપ સૌને ખાતરી આપું છું કે પોતાની ફરજના નિષ્ઠાપૂર્વકના પાલન દરમ્યાન તમે જે પણ નિર્ણયો લેશો અને કાર્યવાહી કરશો એ તમામની સંપૂર્ણ જવાબદારી હું સ્વીકારું છું. તમે કોઈ પણ ડર વગર તમારી ફરજ બજાવવાનું ચાલુ રાખો. જ્યાં પણ ઉત્તરદાયિત્વ કે જવાબદારી નિભાવવાની આવશે ત્યાં હું દળના વડા તરીકે આગળ રહીશ.’



અપવાદરૂપ પરિસ્થિતિમાં પૅલેટ ગનનો ઉપયોગ કરી શકાય : સુપ્રીમ કોર્ટ


દિલ્હીના જંતરમંતર ખાતે કૉક્રૉચ જનતા પાર્ટી (CJP) પ્રેરિત વિરોધ-પ્રદર્શન દરમ્યાન પૅલેટ ગનના કથિત ઉપયોગ વિશે સર્વોચ્ચ અદાલતે એક મહત્ત્વપૂર્ણ અવલોકન કર્યું છે. સુપ્રીમ કોર્ટે ગુરુવારે સ્પષ્ટ કર્યું હતું કે અસાધારણ અને અપવાદરૂપ પરિસ્થિતિમાં પોલીસ પૅલેટ ગનનો ઉપયોગ કરવા માટે સત્તાધિકારી છે. આ સાથે જ કોર્ટે કેન્દ્ર સરકારને પ્રદર્શન-સ્થળે તહેનાત રૅપિડ ઍક્શન ફોર્સ (RAF) દ્વારા ઉપયોગમાં લેવાયેલા દારૂગોળાનો રેકૉર્ડ સુરક્ષિત રાખવાનો નિર્દેશ આપ્યો છે.

ચીફ જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ જૉયમાલ્યા બાગચી અને જસ્ટિસ વી. મોહનાની ખંડપીઠે દિલ્હી સરકારને આદેશ આપ્યો હતો કે પૅલેટ ગનના કથિત ફાયરિંગમાં ઈજાગ્રસ્ત થયેલા તમામ આંદોલનકારીઓને યોગ્ય અને ત્વરિત તબીબી સારવાર પૂરી પાડવામાં આવે. સુપ્રીમ કોર્ટે ભૂતપૂર્વ IPS અધિકારી યશોવર્ધન આઝાદ દ્વારા પૅલેટ ગનના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની માગણી કરતી અરજી સામે સવાલ ઉઠાવ્યા હતા. અદાલતે ટિપ્પણી કરી હતી કે ‘જ્યારે કોઈ આંદોલન અસામાજિક તત્ત્વો દ્વારા હાઇજૅક કરી લેવાય અને અત્યંત હિંસક બની જાય ત્યારે જો લાઠીચાર્જ કે અશ્રુવાયુથી પરિસ્થિતિ કાબૂમાં ન આવે તો પોલીસને ગોળીબાર કરવાની પણ છૂટ હોય છે. આવી સ્થિતિમાં પૅલેટ ગન જેવાં બિનઘાતક શસ્ત્રોના ઉપયોગ પર સંપૂર્ણ રોક કેવી રીતે લગાવી શકાય?’


Whatsapp-channel Whatsapp-channel

31 July, 2026 08:45 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK