Nirav Modi Bail Plea: લંડનની હાઈકોર્ટે પીએનબી કૌભાંડના આરોપી નીરવ મોદીની ૧૦મી જામીન અરજી ફગાવી દીધી; પીએનબી સહિત ભારતીય બેંકોના હજારો કરોડ રૂપિયા લઈને ફરાર થયેલા ભાગેડુ હીરા વેપારી નીરવ મોદી હજી પણ જેલમાં
નીરવ મોદીની ફાઇલ તસવીર
પંજાબ નેશનલ બેન્ક – પીએનબી (Punjab National Bank - PNB) સહિત ભારતીય બેંકોના હજારો કરોડ રૂપિયા લઈને ફરાર થઈ ગયેલા ભાગેડુ હીરા વેપારી નીરવ મોદી (Nirav Modi)ને વધુ એક ઝટકો લાગ્યો છે. ફરી એકવાર તેમનું જેલમાંથી બહાર આવવાનું સ્વપ્ન તૂટી ગયું છે. તેમના જામીન ૧૦મી વખત ફગાવી દેવામાં આવ્યા છે. લંડન (London)ની હાઈકોર્ટ ઓફ જસ્ટિસ, કિંગ્સ બેન્ચ ડિવિઝને ગુરુવારે ફરી એકવાર નીરવ મોદીની જામીન અરજી ફગાવી દીધી (Nirav Modi Bail Plea) હતી.
લંડનની હાઈકોર્ટ (London`s High Court) ઓફ જસ્ટિસ, કિંગ્સ બેન્ચ ડિવિઝને ગુરુવારે નીરવ મોદીની તાજેતરની જામીન અરજી ફગાવી દીધી હતી. નીરવ મોદીએ જેલમાંથી બહાર આવવા માટે આ અરજી દાખલ કરી હતી, પરંતુ કોર્ટમાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન – સીબીઆઈ (Central Bureau of Investigation - CBI)ના મજબૂત દલીલોને કારણે તેને રાહત મળી ન હતી. કોર્ટમાં સુનાવણી દરમિયાન, સીબીઆઈ ટીમે ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસ (Crown Prosecution Service - CPS) સાથે મળીને સમગ્ર કેસમાં ભારત સરકારનો પક્ષ મજબૂત રીતે રજૂ કર્યો. કોર્ટમાં સીબીઆઈના મજબૂત દલીલોને કારણે નીરવ મોદીને રાહત મળી શકી નથી. સરકારી વકીલ દ્વારા તેની અરજીનો જોરદાર વિરોધ કરવામાં આવ્યો હતો. ભારતના સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ)ની ખૂબ જ સક્ષમ ટીમે પણ સરકારના પક્ષને ટેકો આપ્યો હતો. આ સુનાવણી માટે સીબીઆઈએ ખાસ કરીને તેમના અધિકારીઓને લંડન મોકલ્યા હતા.
ADVERTISEMENT
નીરવ મોદી ૧૯ માર્ચ ૨૦૧૯ થી લંડનની જેલમાં બંધ છે. તે લગભગ ૬૪૯૮.૨૦ કરોડ રૂપિયાના પંજાબ નેશનલ બેન્ક – પીએનબી (Punjab National Bank - PNB) કૌભાંડનો મુખ્ય આરોપી છે. ભારત સરકાર નીરવ મોદીને ભારત પ્રત્યાર્પણ કરવાની પ્રક્રિયામાં છે. યુકે હાઈકોર્ટે પહેલાથી જ તેના ભારત પ્રત્યાર્પણને મંજૂરી આપી દીધી છે. ખાસ વાત એ છે કે આ નીરવ મોદીની દસમી જામીન અરજી હતી, જેને સીબીઆઈએ ફરી એકવાર સીપીએસની મદદથી સફળતાપૂર્વક ફગાવી દીધી છે.
નીરવ મોદી પર તેના કાકા મેહુલ ચોક્સી (Mehul Choksi) સાથે મળીને ભારતના સૌથી મોટા બેંકિંગ કૌભાંડોમાંના એકનો આરોપ છે. આ બંનેએ કથિત રીતે ભારતીય બેંકોમાંથી મોટી રકમ ઉપાડવા માટે મુંબઈમાં પંજાબ નેશનલ બેંકની શાખામાંથી નકલી લેટર ઓફ અંડરટેકિંગ (LoU)નો ઉપયોગ કર્યો હતો. તપાસકર્તાઓનો દાવો છે કે, નીરવ મોદીએ લગભગ ૬,૪૯૮ કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી જ્યારે ચોક્સીએ કથિત રીતે ૭,૦૦૦ કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી કરી હતી. ફેબ્રુઆરી ૨૦૧૮માં CBIએ પોતાનો પહેલો કેસ દાખલ કર્યો તે પહેલાં જ બંને ભારત (India) છોડીને ભાગી ગયા હતા. નીરવ મોદી યુકેની જેલમાં બંધ છે, જ્યારે ચોક્સી વિરુદ્ધ બેલ્જિયમ (Belgium)માં કાનૂની કાર્યવાહી ચાલી રહી છે. સૂત્રોએ જણાવ્યું છે કે, એન્ટવર્પ (Antwerp)ની એક અદાલત શુક્રવાર ૧૬ મેથી ભારતની પ્રત્યાર્પણ વિનંતી પર સુનાવણી શરૂ કરશે. ગયા મહિને બેલ્જિયમના અધિકારીઓ દ્વારા અટકાયતમાં લેવાયેલા ચોક્સીની પ્રારંભિક જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી. અહેવાલો સૂચવે છે કે, ભારતીય એજન્સીઓએ તેની આગામી જામીન સુનાવણી પહેલા ફરિયાદ પક્ષના કેસને મજબૂત બનાવવા માટે વધારાના પુરાવા રજૂ કર્યા છે. યુકે અને બેલ્જિયમ બંનેમાં ન્યાયિક પ્રક્રિયાઓ વેગ પકડી રહી હોવાથી, ભારતીય અધિકારીઓ બંને ભાગેડુઓને ટ્રાયલનો સામનો કરવા માટે પ્રત્યાર્પણ કરવા અંગે આશાવાદી છે.

