News in Shorts: પશ્ચિમ બંગાળમાં એકસાથે ૧૭૯ પોલીસ-ઑફિસરોની થઈ બદલી અને વધુ સમાચાર
૧૯૪૭ના ભાગલા દરમ્યાન પશ્ચિમ બંગાળની રચનામાં શ્યામા પ્રસાદ મુખરજીએ મુખ્ય ભૂમિકા ભજવી હતી
ભારતીય જનસંઘના સ્થાપક શ્યામા પ્રસાદ મુખરજીની ૧૨૫મી જન્મજયંતી નિમિત્તે તેમની ૧૨૫ ફુટ ઊંચી પ્રતિમા કલકત્તામાં સ્થાપિત કરવાની જાહેરાત પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન સુવેન્દુ અધિકારીએ કરી હતી. એ સિવાય તેમને સમર્પિત એક સ્મારક અને પુસ્તકાલયની જાહેરાત પણ કરવામાં આવી છે. રાજ્યના પ્રધાનમંડળે આ પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી છે. ડમ ડમમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના કાર્યકરો સાથે વાત કરતાં મુખ્ય પ્રધાને કહ્યું હતું કે ‘આ પહેલ શ્યામા પ્રસાદ મુખરજીના યોગદાનને માન્યતા આપે છે. ૧૯૪૭ના ભાગલા દરમ્યાન પશ્ચિમ બંગાળની રચનામાં શ્યામા પ્રસાદ મુખરજી અને સ્વામી પ્રણવાનંદે મુખ્ય ભૂમિકા ભજવી હતી. અગાઉની સરકારોએ તેમના યોગદાનને અવગણ્યું હતું, પણ ડૉ. શ્યામા પ્રસાદ મુખરજી અને સ્વામી પ્રણવાનંદના યોગદાનને ભૂલી ન શકાય.’ મુખ્ય પ્રધાને ૨૦ જૂને ‘પશ્ચિમ બંગાળ દિવસ’ ઊજવવાની જાહેરાત કરી હતી. એ દિવસ અગાઉ ‘પોઇલા વૈશાખ’ તરીકે ઊજવાતો હતો. આ એક નવા અધ્યાયની શરૂઆત છે જેમાં રાજ્યની ઐતિહાસિક ઓળખને ફરીથી સ્થાપિત કરવાના પ્રયાસ કરવામાં આવશે.
પશ્ચિમ બંગાળમાં એકસાથે ૧૭૯ પોલીસ-ઑફિસરોની થઈ બદલી
ADVERTISEMENT
પશ્ચિમ બંગાળમાં સત્તા પર આવ્યા બાદ ભારતીય જનતા પાર્ટી (BJP)ની સરકારે રાજ્યના પોલીસ વિભાગમાં અત્યાર સુધીનો સૌથી મોટો ફેરબદલ કર્યો છે. સોમવારે રાજ્ય સરકારે કુલ ૧૭૯ પોલીસ ઑફિસરોની મોટા પાયે બદલી કરી છે. ગૃહવિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા સત્તાવાર નોટિફિકેશન મુજબ બદલી કરાયેલા આ ઑફિસરોમાંથી ૧૫૧ ઇન્ડિયન પોલીસ સર્વિસ (IPS) અને બાકીના પશ્ચિમ બંગાળ પોલીસ સર્વિસ કૅડરના છે.
