કોઝિકોડ વિમાન દુર્ઘટના: મૃત્યુ પામનાર કેપ્ટન એરફોર્સથી નિવૃત્ત થયા હતા
કેપ્ટન દીપક વસંત સાઠે
કોઝિકોડ પ્લેન દુર્ઘટનામાં એર ઇન્ડિયાના એક્સપ્રેસના પાયલટ કેપ્ટન દીપક વસંત સાઠે અને કો પાયલટ અખિલેશ કુમારે જીવ ગુમાવ્યો છે. તેમાંથી કેપ્ટન દીપક વસંત સાઠે દેશના ઉત્કૃષ્ટ પાયલટોમાં સ્થાન ધરાવે છે. તેમણે જીવનમાં અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી. જે ખરેખર જાણવા જેવી છે. એર ઇન્ડિયાની પેસેન્જર્સ ફ્લાઇટ ઉડાવ્યા પહેલા કેપ્ટન દીપક વસંત સાઠેએ 22 વર્ષ સુધી એરફોર્સમાં વિંગ કમાન્ડર તરીકે સેવા આપી હતી. આખો પરિવાર દેશની સેવામાં હતો.
કેપ્ટન દીપક વસંત સાઠેએ 22 વર્ષ સુધી એરફોર્સમાં વિંગ કમાન્ડર તરીકે સેવા આપી હતી. આ દરમિયાન તેમણે મિગ-21 જેવા ફાઇટર પ્લેન પણ ઉડાવ્યા હતા. એટલું જ નહીં, 'Sword of Honor'થી તેમનું સન્માન કરવામા આવ્યું હતું. કેપ્ટન સાઠેના ભાઈ પાકિસ્તાનથી યુદ્ધ દરમિયાન કારગિલમાં શહીદ થયા હતા. જ્યારે તેમના પિતા આર્મીમાં બ્રિગેડિયરના પદેથી નિવૃત્ત થયા હતા.
ADVERTISEMENT
કેપ્ટન દીપક વસંત સાઠે પત્ની સાથે
કેપ્ટન સાઠે 11 જૂન 1981માં એરફોર્સમાં જોડાયા હતા. ત્યારબાદ તેઓ એરફોર્સમાં ઘણા મહત્વપૂર્ણ હોદ્દા પર રહ્યા. 30 જૂન 2003ના તેઓ એરફોર્સમાંથી નિવૃત્ત થયા હતા. ત્યારબાદ તેમણે એરલાઇન્સ કંપનીઓને તેમના અનુભવથી મદદ કરવાનું શરૂ કર્યું. એર ઇન્ડિયા એક્સપ્રેસની બોઇંગ 737 ફ્લાઇટ ઉડાવ્યા પહેલા તેઓ એરબસ 310 પણ ઉડાવી ચૂક્યા છે. હિન્દુસ્તાન એરોનોટિકલના ટેસ્ટ પાયલટ પણ રહી ચૂક્યા છે. તેમના પ્રદર્શનને લીધે એરફોર્સ એકેડમીએ તેમનું સન્માન પણ કર્યું હતું.